July 2, 2024

POCSO Case: BS Yeddyurappa સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી

POCSO Case Against BS Yediyurappa: બેંગલુરુ કોર્ટે આજે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) વિરુદ્ધ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર POCSO એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું.

હાલ યેદિયુરપ્પા દિલ્હીમાં છે. તેમની વિરુદ્ધ પોક્સો કેસની તપાસ કરી રહેલી સીઆઈડીએ યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં હવે તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. અગાઉ ગૃહમંત્રીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો CID યેદિયુરપ્પાની ધરપકડ કરી શકે છે. CIDએ યેદિયુરપ્પાને આ કેસમાં 12 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં છે અને તેથી 17 જૂને CID સમક્ષ હાજર થશે.

શું છે મામલો?
નોંધનીય છે કે 14 માર્ચે એક મહિલાએ બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પાએ તેની સગીર પુત્રીનું યૌન શોષણ કર્યું હતું જ્યારે બંને કોઈ કામ માટે યેદિયુરપ્પાના ઘરે ગયા હતા. મામલો ગંભીર હતો તો કર્ણાટક સરકારે મામલાની તપાસ CIDને સોંપી દીધી હતી. બીએસ યેદિયુરપ્પા પણ આ કેસમાં એક વખત સીઆઈડી સમક્ષ હાજર થયા હતા.

ફરિયાદ કરનાર મહિલાનું મોત થયું છે
દરમિયાન, 26 મેના રોજ ફરિયાદી મહિલાનું મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણા દિવસોથી બીમાર હતી. આ પછી પીડિતાના ભાઈએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી કરી અને યેદિયુરપ્પાની ધરપકડની માંગ કરી. બીએસ યેદિયુરપ્પાએ આ POCSO કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. યેદિયુરપ્પાએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે હવે ધરપકડ વોરંટ જારી થયા બાદ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે.