May 21, 2024

જામસાહેબ જે બોલ્યા તેના કરતા ના બોલ્યા હોત તો સારૂ હતું: પી.ટી. જાહેજા

પાટણ: પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ક્ષત્રિય સમાજ લડી લેવાના મુડમાં છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ સંમેલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગત રોજ જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ ધર્મને યાદ કરીને પરશોત્તમ રૂપાલાને માફ કરવાની વાત કરતો પત્ર લખ્યો હતો. જેના પર ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા તેમને આડે હાથ લીધા. જાહેજાએ કહ્યું કે, 24 કલાકમાં નિવેદન શા માટે બદલ્યું? જે પણ બોલ્યા તેના કરતા કંઈ પણ ના બોલ્યા હોત તો વધારે સારુ રહેત.

જામસાહેબનો બુધવારે બીજો પત્ર આવ્યો હતો. જેના પર પી.સી. જાડેજાએ કહ્યું કે, જામ સાહેબનું નિવેદન સાંભળીને ખુબ જ દુઃખ થયું છે. પહેલા જે બોલ્યા તેને 24 કલાકમાં બદલી નાખ્યું. આના કરતા કંઈ પણ ના બોલ્યા હોત તો વધારે સારૂ હોત. જામ સાહેબના દિલના દરવાજા દિકરીઓ માટે જામ થઈ ગયા છે? હજી પણ કોઈને શંકા હોયને તો લોહીને ચેક કરી લો. આ હાથમાંથી રાજપૂતનું જ લોહી નિકળશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી લડી રહેલા યુ-ટ્યૂબરને મહિલાઓએ કરાવ્યું દૂધસ્નાન

મહત્વનું છેકે, ગત રોજ જામસાહેબે જે પત્ર લખ્યો તેમાં લખ્યું હતું કે, સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ. મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે. પરંતુ આટલું પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની માફી માગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગે તો ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ.’તેઓ આગળ લખે છે કે, ‘આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈ આપણે આગળ વધવું જોઈએ.’

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.