September 20, 2024

રાહુલ ગાંધીના SC-ST,OBC અનામત નિવેદન મામલે દિલ્હીના 3 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Rahul Gandhi on Sc St Obc Reservation: ભાજપે દિલ્હીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 3 ફરિયાદ દાખલ કરી છે. પંજાબી બાગ, તિલક નગર અને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદન સામે SC-ST,OBC અનામત મુદ્દે આપેલા નિવદેનને લઇને BJP અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોહન લાલ, શીખ પ્રકોષ્ઠ અને એસટી સેલના સીએલ મીનાએ આ ફરિયાદ નોંધાવી છે.

રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ થયો હતો
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘જ્યારે ભારત ન્યાયી સ્થળ બનશે, ત્યારે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરવાનું વિચારશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યારે યોગ્ય સ્થળ નથી. ભારતમાં 90 ટકા વસ્તી દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓની છે, જેઓ રમતગમત સાથે બિલકુલ સંકળાયેલા નથી.

જાતિની વસ્તી ગણતરી વિશે શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે જાતિની વસ્તી ગણતરી એ જાણવાનો પ્રયાસ છે કે કેવી રીતે નીચલી, પછાત જાતિઓ અને દલિતોને સિસ્ટમમાં એકીકૃત કરવામાં આવશે. ભારતના 200 વ્યવસાયોમાંથી 90 ટકા દેશની વસ્તીની માલિકીના નથી. ટોચની અદાલતોમાં પણ તેમની કોઈ ભાગીદારી નથી. મીડિયામાં પણ નીચલી જાતિની ભાગીદારી નથી. જાતિની વસ્તી ગણતરી પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એ સમજવા માંગીએ છીએ કે પછાત લોકો અને દલિતોની સામાજિક અને આર્થિક સ્થિતિ શું છે. અમે ભારતીય સંસ્થાઓને પણ જોવા માંગીએ છીએ જેથી અમને આ સંસ્થાઓમાં ભારતની ભાગીદારીનો ખ્યાલ આવી શકે.