June 30, 2024

Rajkot Game Zone Tragedy: કાટમાળથી માનવ અવશેષો મળ્યા, NDRF દ્વારા કામગીરી ચાલુ

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે ઘટનાસ્થળે હજુ સુધી કાર્યવાહી ચાલુ છે. કાટમાળમાંથી માનવ અવશેષ મળી રહ્યા છે. બે દિવસ બાદ પણ કાર્યવાહી યથાવત્ છે. JCBના વાહનથી હજુ પણ કામગીરી યથાવત છે.

અત્યાર સુધીમાં 30 લોકોનાં મૃતદેહ બાદ પણ અવશેષ મળી આવ્યા છે. હાલ ઘટનાસ્થળે NDRF પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. પરિવારજનો પોતાના સ્વજનોના મૃતદેહની સિવિલમાં રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot Game Zone Tragedy: વધુ એક આરોપી ભાગીદાર રાહુલ રાઠોડ ઝડપાયો

અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ
આ દુર્ઘટનામાં કુલ 6 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ગઈકાલે માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે ભાગીદાર રાહુલ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડ મામલે 6 અધિકારીઓ સસ્પેન્ડ, SIT પૂછપરછ કરશે

સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ છ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદિપ ચૌધરી, PI વીઆર ચૌધરી, PI એનઆઇ રાઠોડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશી અને અન્ય એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.