September 25, 2024

સાબરકાંઠામાં ગમખ્વાર રોડ અકસ્માત, 7 લોકોનાં મોત; એકની હાલત ગંભીર

સાબરકાંઠાઃ રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વહેલી સવારે સાબરકાંઠામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં ટ્રકની પાછળ ધડાકાભેર કાર અથડાતા 7 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અકસ્માત એટલો ગંભીર છે કે, કારમાંથી મૃતદેહો બહાર કાઢવા માટે કટરથી કારને કાપવાની ફરજ પડી છે.  મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગરમાં સહકારી જીન પાસે મોટો માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. તમામ લોકો શામળાજીથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

મોડાસાના કડવા પાટીદાર સમાજની વાડી સામે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે.