September 8, 2024

અવળી ગંગા: હવે આચાર્યોને તાલીમ આપશે શિક્ષકો, સરકારના પરિપત્રથી વિવાદ

અમદાવાદ: નવી શિક્ષણ નિતી અંતર્ગત તમામ આચાર્યોને ડાયટ અંતર્ગત તાલીમ આપવામા આવનાર છે ત્યારે આ આચાર્યોને ટ્રેનિંગ ઉપરી અધિકારી નહી પરંતુ શાળાના શિક્ષક આપશે. અને તેને કારણે સોશ્યલ મીડીયામા સરકાર દ્વારા કરાયેલ પરિપત્રનો વિરોધ શરૂ થયો છે. અમુક આચાર્યનું માનવુ છે કે હવે શુ શિક્ષકો આચાર્યોને તાલીમ આપશે?

નવી શિક્ષણ નીતિ અંતર્ગત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોની તાલીમનું આયોજન જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સોલા ડાયેટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત આગામી 25મી જુલાઇથી 27 જુલાઇ સુધી તમામ આચાર્યોને ઉપસ્થિત રહેવાનું છે. જેમાં આચાર્યોને સ્કુલ લીડરશીપ, NAS,GAS, ગુણોત્સવ, એકમ કસોટી તથા નવી ટેકનોલોજી અને પ્રવાહ વિશે જાણકારી આપવામા આવનાર છે. આ તાલીખ આચાર્યોના ઉપરાધિકારી નહી પરંતુ સ્કુલના જ શિક્ષકો દ્વારા આપવામા આવનાર છે. જેને કારણે અનેક આચાર્યોના પેટમાં તેલ રેડાયુ છે. આચાર્યોનો અહમ ઘવાતો હોય તેમ તેઓને લાગી રહ્યુ છે કે તેઓ શુ કામ કોઇ શિક્ષકની અંડરમાં કામ કરે. શાળાના આચાર્ય દ્વારા દેખ તેરે સંસાર કી હાલત ક્યા, હો ગઇ ભગવાન, હંસ ચુગે ગા દાના.. શિક્ષક શિખવાડશે આચાર્યને લીડરશીપના ગુણ એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને વિવાદને હવા આપી છે.

આ સમગ્ર મામલે ન્યુઝ કેપીટલે એક શિક્ષક સાથે વાત કરી તો જાણવા મળ્યુ કે ડાયટ દ્વારા આચાર્યોને જે પણ તાલીમ આપવામાં આવનાર છે તેની ટ્રેનીંગ શાળાના શિક્ષકોને સરકાર દ્વારા પહેલા થી જ આપી દેવામા આવી છે. શિક્ષકે શાળામાં 10 દિવસ જેટલી ટ્રેનિગની રજા મુકીને આ તાલીમ મેળવી છે જ્યારે આ ટ્રેનિંગ આચાર્યને લેવાની હોય ત્યારે કોઇ પણ આચાર્ય 10 દિવસ સુધી સ્કુલમાથી રજા ન લઇ શકે,, શાળાનો આચાર્ય એ શાળાનુ માથુ કહેવાય છે શાળાનુ સંચાલનની સાથે સાથે વહીવટી કામગીરી પણ એક આચાર્ય દ્વારા કરવાની રહે છે ત્યારે 10 દિવસ સુધી તે ટ્રેનીંગમાં જાય તો કામગીરી ખોરવાય, જેથી તાલીમ પામેલા શિક્ષકો દ્વારા આચાર્યોને 3 દિવસ તમામ પાસાઓ અંગે તાલીમ આપવામા આવનાર છે.

આ સમગ્ર મામલે આચાર્ય સંધે જણાવ્યુ હતુ કે અમુક આચાર્યોના અહમ ઘવાયા છે અને તેને કારણે તેઓએ આ પ્રકારના મેસેજ સોશ્યલ મીડીયામા વાઇરલ કર્યા છે પરંતુ એક આચાર્ય તરીકે આવા મેસેજ કરવા યોગ્ય નથી. સરકારે આગાઉ ટ્રેનિગ માટે ગુગલ ફોર્મ મોકલ્યુ હતુ પરંતુ આચાર્યો દ્વારા તેને ભરવામા આવ્યુ નહતુ જેને કારણે શિક્ષકોને આની તાલીમ આપવામા આવી છે. એક આચાર્ય પણ એક શિક્ષક જ છે ત્યારે તેઓ શિક્ષકની અંડરમાં ટ્રેનિંગ મેળવે તો કંઇ ખોટુ નથી.