Surat મનપાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ, પોલીસે બળપ્રયોગ કર્યો
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/06/Surat-TRaders-Protest.jpg)
અમિત રુપાપરા, સુરતઃ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસી અને બીયુસી ન ધરાવનારી મિલકતો સામે કડકાઈ શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી સીલની કડક કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ આપી ગયો છે. જેમાં સુરતના રીંગ રોડ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી સીલ કરવામાં આવેલ ટેક્સટાઇલ માર્કેટોના કારણે ધંધા-વેપાર ઠપ થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા કામદારો અને વેપારીઓ દ્વારા ફોસ્ટાને રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું સુખદ સમાધાન નહીં થતા આજે તમામ લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કરતા પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની દુકાનોને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ફાયર સેફ્ટી અને બીયુસીના અભાવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની ઘટના બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા એકાએક કડકાઈ અપનાવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી માર્કેટની દુકાનો સદંતર બંધ રહેતા ધંધો-વેપાર પણ ઠપ થઈ ચૂક્યો છે. પ્રતિ દિવસ કરોડોનો વેપાર ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે ટેક્સટાઇલ માર્કેટમાંથી રોજીરોટી મેળવતા કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભા થયા છે. સમયની માગ અને હાલ પૂરતી દુકાનો ખોલી આપવામાં આવે તેવી રજૂઆત વેપારીઓ દ્વારા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનને કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની આગાહી
રજૂઆત કર્યા બાદ પણ હજી સુધી કોઈ નિવેડો નહીં આવતા મોટી સંખ્યામાં વેપારીઓ અને કામદારો રસ્તા પર ઉતર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. રીંગ રોડ વિસ્તારમાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના પ્રાંગણમાં આવેલી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયનની ઓફિસ બહાર જ હંગામો મચાવી દીધો હતો. રસ્તા પર ઉતર્યા બાદ ચક્કાજામ કરતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે પહેલાં તાત્કાલિક ધોરણે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો
ભારે હોબાળો અને હંગામો કરતા પોલીસે હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના પગલે ડીસીપી, એસીપી તેમજ પીઆઇ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરીયા પણ સ્થળ પર પહોંચ્યા હતા. વિપક્ષ નેતા પાલ સાકરીયા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અહીં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. જે ટેક્સટાઇલ માર્કેટ બીયુસી અને ફાયર એનઓસી વિના કઈ રીતે ઊભી કરવામાં આવી તે એક મોટો સવાલ છે. ત્યાં સુધી તંત્ર માત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું હતું. પરંતુ હવે એકાએક સુરત મહાનગરપાલિકાને જ્ઞાન આવ્યું છે અને બીયુસી અને ફાયર સેફટીના અભાવે સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. જે તંત્ર હમણાં સુધી માત્ર હાથ ઉપર હાથ ધરી બેસી રહ્યું હતું. હાલ માર્કેટની દુકાનો સીલ થતા વેપારીઓ અને કામદારો મુશ્કેલીમાં મૂકાયા છે. ધંધા-વેપાર ઠપ થઈ જવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેથી તંત્રએ આ બાબતે વચગાળાનો રસ્તો કાઢી વેપારી અને કામદારોના હિતમાં નિર્ણય લેવો જોઈએ.