મગફળી ગોડાઉનમાં આગ મામલે પાલ આંબલિયા બોલ્યા – ભ્રષ્ટાચાર છુપાવવા સરકારના મળતિયાઓ લગાવે છે આગ

અમદાવાદઃ થાનગઢના મગફળી ગોડાઉનમાં આગ લાગવા મામલે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આ ઉપરાંત અનેક સવાલ પણ કર્યા છે.

તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, ‘મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે. ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારના મળતિયાઓ જ આગ લગાવે છે. સરકારમાં બેઠેલા ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર કરે, આગ લગાવે, તપાસ સમિતિ નિમે અને નિર્દોષ જાહેર કરે.’ તેઓ સવાલ કરે છે કે, FCIના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી અને મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે?

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘સરકારે અગાઉ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કડક હાથે કામ લીધું હોત તો આજે આગ ન લાગી હોત. ચોર પોતે, ચોકીદાર પોતે, પોલીસ પોતે, જજ પણ પોતે તેવો ઘાટ મગફળી કૌભાંડમાં દર વખતે રચાયો છે. અગાઉ ગોંડલમાં શોર્ટસર્કિટથી આગનો રિપોર્ટ એવા ગોડાઉનમાં આવ્યો કે જ્યાં PGVCL નું કનેક્શન જ નહોતું. PGVCLનું કનેક્શન ન હોય ત્યાં વીજળી ક્યાંથી આવી? શોર્ટસર્કિટ કેમ થયું અને આગ કેમ લાગી?’

તેઓ કહે છે કે, ‘થાન ગોડાઉનમાં મગફળી કઈ કઈ સહકારી મંડળીની આવી હતી? એના માલિક ક્યા પક્ષ સાથે જોડાયેલા છે? કઈ કઈ સહકારી મંડળીમાંથી કેટલા જથ્થામાં મગફળી આવી હતી? ગોડાઉનના માલિક કોણ છે? કયા પક્ષ સાથે જોડાયેલા છે? ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કરનારા કોણ હતા? રજિસ્ટર નિભાવ્યું છે? ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો આવ્યો હતો કેટલો સળગી ગયો? બચેલો જથ્થો છે તેની ગુણવત્તા ચકાસણી સરકાર કરશે? જો સરકાર દુધનું દૂધને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તપાસ કમિટી નિમવી જોઈએ. જો સરકાર કુલડીમાં અગાઉ ગોળ ભાંગ્યો તેવી જ રીતે ગોળ ભાંગવા માંગતી ન હોય તો તપાસ સમિતિ નિમવી જ જોઈએ. તપાસ કમિટીમાં બે સત્તાપક્ષના, બે વિરોધપક્ષના, બે નિષ્ણાત નિવૃત અધિકારીઓ, બે ખેડૂત આગેવાનોને સાથે રાખી બનાવવી જોઈએ.’