March 19, 2025

દિહુલી હત્યાકાંડમાં 4 દાયકા પછી મૈનપુરી કોર્ટનો ચુકાદો, 3 દોષિતોને ફાંસીની સજા

Firozabad Dihuli Massacre: ચાર દાયકા પહેલા થયેલા દિહુલી દલિત હત્યાકાંડ કેસમાં કોર્ટે આખરે પોતાનો ચુકાદો આપી દીધો છે. આજે મૈનપુરી કોર્ટના ખાસ ન્યાયાધીશે કપ્તાન સિંહ, રામ પાલ અને રામ સેવકને દોષિત ઠેરવ્યા અને તેમને ફાંસી અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.

શું હતો સમગ્ર મામલો?
18 નવેમ્બર 1981ની સાંજે ફિરોઝાબાદ જિલ્લાના દિહુલી ગામમાં 17 સશસ્ત્ર ડાકુઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 23 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ રીતે કુલ 24 દલિતોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.

ઘટના બાદ સ્થાનિક રહેવાસી લૈઇક સિંહની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં, 17 ડાકુઓ આરોપી હતા, જેમાં ગેંગ લીડર સંતોષ સિંહ (ઉર્ફે સંતોષા) અને રાધેશ્યામ (ઉર્ફે રાધે)નો સમાવેશ થાય છે. જો કે ટ્રાયલ દરમિયાન 13 આરોપીઓના મોત થયા હતા, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે.

‘ચાર દાયકા પછી ન્યાય મળ્યો’
આ નિર્ણય પર સરકારી વકીલ રોહિત શુક્લાએ કહ્યું, ‘ચાર દાયકા પછી, પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, જે સમાજમાં સંદેશ આપશે કે કોઈ પણ ગુનેગાર કાયદાથી બચી શકશે નહીં.

હવે આગળ શું?
ચુકાદા બાદ દોષિતો પાસે હાઈકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ રહેશે. પીડિત પરિવારોએ કોર્ટના આ નિર્ણયને ન્યાયની જીત ગણાવી છે.