September 20, 2024

તિરુપતિના લાડુમાં ચરબી! કેવી રીતે બને છે ભગવાનને ચઢાવવામાં આવતો ‘પ્રસાદમ’?

દેશ અને દુનિયાના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ તિરુમાલા મંદિર આ સમયે ચર્ચામાં છે અને તેનું કારણ છે બાલાજી મંદિરમાં ઉપલબ્ધ લાડુના પ્રસાદમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિર પર ઘીના બદલે પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તપાસ બાદ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાનું કહેવાય છે. બુધવારે સીએમએ પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પર આરોપ લગાવ્યો હતો કે જગન રાજ દરમિયાન તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબી ભેળવવામાં આવતી હતી.

રિપોર્ટ અનુસાર તિરુપતિ બાલા જીમાં લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તેલ, બીફ, ચરબી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે પ્રસાદ માત્ર ભક્તોમાં વહેંચવામાં આવતો નથી પરંતુ તે જ લાડુ ભગવાનને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.

આ પણ વાંચો: iPhone16 ખરીદવા માટે યુવાનોમાં જબરો ક્રેઝ, સુરતથી મુંબઈ પહોંચ્યા ગ્રાહકો

200 વર્ષ જૂની પરંપરા
તિરુપતિ બાલાજી મંદિરમાં આ ખાસ પ્રકારના લાડુનો પ્રસાદ મળે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ વિના બાલાજીના દર્શન અધૂરા ગણાય છે. મંદિરમાં આ લાડુનો પ્રસાદ બનાવવાની રીત એકદમ અલગ છે. મંદિરમાં લાડુ બનાવતી વખતે સંપૂર્ણ શુદ્ધતાનું ધ્યાન રાખવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં લાડુ પોટ્ટુ એક રસોડું છે જ્યાં લાડુ તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે પહેલા પ્રસાદ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો હતો પરંતુ 1984થી આ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લાડુ પોટ્ટુમાં દરરોજ 8 લાખ લાડુ બનાવવામાં આવે છે.

પ્રસાદ કેવી રીતે બને છે?
તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ બનતા લાડુનો પ્રસાદ એક ખાસ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેને દિત્તમ કહેવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ, કાજુ, કિસમિસ, ખાંડની મિશ્રી, ઘી, ઈલાયચી વગેરે મિક્સ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દિત્તમમાં માત્ર 6 વખત ફેરફાર કરવામાં આવ્યા છે. દરરોજ પ્રસાદ તૈયાર કરવા માટે 10 ટન ચણાનો લોટ, 10 ટન ખાંડ, 700 કિલો કાજુ, 150 કિલો ઈલાયચી, 300 થી 400 લિટર ઘી, 500 કિલો ખાંડ મિશ્રી, 540 કિલો કિસમિસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ન્યુઝ કેપિટલ ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી.)