March 10, 2025

આદિવાસી સમાજમાં આમલી અગિયારસની પરંપરા યથાવત, ભીમકુંડમા અસ્થિઓ કરાઈ વિસર્જન

નીલુ ડોડીયાર, દાહોદ ગરબાડા: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસના રોજ ભીમકુંડમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ મહત્વ હોય છે.

આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થીને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાંટી દેવામાં આવે છે.

હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદળ વડે અસ્થીઓને ધોઈ તેની પૂજા કરે છે અને પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને વહેલી સવારે આમલી અગિયાસના રોજ મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે. ગંગા જળ કરાતા વધુ પવિત્ર માની અને આદિવાસી સમાજના લોકો દ્વારા ભીમકુંડમા અસ્થીનું વિસર્જન કરવામાં આવે છે. 20 હજારથી વધુ લોકો 5 હજારથી વધુ અસ્થીઓ વિસર્જન કરવા માટે આવે છે.