September 20, 2024

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ઘૂસણખોરીનો પ્રયાસ, 2 આતંકીઓને ઠાર કરાયા

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. તેઓએ નૌશેરામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોએ આ માહિતી આપી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સૈનિકોને શંકા છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.

ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી સંભવિત ઘૂસણખોરી અંગે મળેલી માહિતીના આધારે સેનાએ ગઈકાલે રાત્રે નૌશેરાના લામ વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને અત્યાર સુધીમાં તેમની પાસેથી બે AK-47 અને એક પિસ્તોલ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

તાજેતરમાં જ જમ્મુમાં સુંજવાન આર્મી બેઝની બહાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો હતો. જે બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. સુંજવાન બ્રિગેડ એ જમ્મુ શહેરમાં સૌથી મોટો આર્મી બેઝ છે અને 10 ફેબ્રુઆરી 2018 ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે આતંકવાદીઓએ છ સૈનિકો અને એક નાગરિકની હત્યા કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને સેના એલર્ટ
કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુપવાડાના માછિલ સેક્ટરમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે અન્ય એક આતંકવાદી કુપવાડાના તંગધાર સેક્ટરમાં માર્યો ગયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચો: “તાળાં તોડી તોડીને એક એકને પડકીને નિકાળીશું”: હર્ષ સંઘવી

કેન્દ્રશાસિત પ્રદેશમાં 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા સુરક્ષા દળો આતંકવાદીઓને પસંદ કરીને મારી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની લગભગ 300 કંપનીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાવાની છે જ્યારે પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.