July 1, 2024

આ બે શહેરો વચ્ચે શરૂ થશે ‘વંદે ભારત ટ્રેન’

Vande Bharat Train: ભારતીય રેલવેએ છેલ્લા ઘણા સમયથી દેશમાં અલગ અલગ રાજ્યમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. હવે આ લિસ્ટમાં વધુ એક રાજ્યનું નામ જોડાયું છે. જ્યાં બીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. કર્નાટકની રાજધાની બેંગ્લોરથી ચેન્નઈની વચ્ચે આ વંદે ભારત ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ પહેલા 2022માં PM મોદીએ ચેન્નઈથી મૈસુરની વચ્ચે બેંગ્લોરના રસ્તે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે.

PM 12 માર્ચે લીલી ઝંડી બતાવશે
12 માર્ચ, 2024 ના રોજ વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચે દોડતી આ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન દ્વારા સરકાર બેંગલુરુ અને ચેન્નાઈ જેવા IT શહેરો વચ્ચે કનેક્ટિવિટી સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

વંદે ભારતનો સમય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વંદે ભારત ટ્રેન બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની 362 કિલોમીટરની મુસાફરી માત્ર ચાર કલાક અને 20 મિનિટમાં પૂરી કરશે. હાલમાં આ રૂટ પર દોડતી શતાબ્દી એક્સપ્રેસને મુસાફરી પૂરી કરવામાં ચાર કલાક અને 40 મિનિટનો સમય લાગી રહ્યો છે. એક અહેવાલ અનુસાર નવી વંદે ભારત ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

ટ્રેનનું ટાઈમટેબલ
એક અહેવાલ મુજબ, નવી વંદે ભારત ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી સાંજે 5 વાગ્યે ઉપડશે અને બેંગલુરુ રાત્રે 9.25 વાગ્યે અને મૈસૂરુ રાત્રે 11.20 વાગ્યે પહોંચશે. આ ટ્રેન મૈસૂરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને સવારે 7.45 વાગ્યે બેંગલુરુ પહોંચશે અને પછી બેંગલુરુથી સવારે 7.45 વાગ્યે ઉપડશે. જે 12.20 વાગ્યે ચેન્નાઈ પહોંચશે. ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર રૂટ પર દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે.