May 18, 2024

માલદીવમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન, ‘ઈન્ડિયા આઉટ’ કહેનારા મુઇઝુની આકરી પરીક્ષા

માલદીવ: માલદીવમાં ચોથી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારત વિરોધી વલણ માટે જાણીતા રાષ્ટ્રપતિ મુઇઝુ માટે આ ચૂંટણી કઠિન પરીક્ષા છે. ચૂંટણી મેદાનમાં આઠ રાજકીય પક્ષો છે જેમણે 93 મતવિસ્તારોમાં કુલ 368 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્રણ વિદેશી મતદાન મથકો (કોલંબો, ત્રિવેન્દ્રમ અને કુઆલાલંપુર) સહિત 602 મતદાન મથકો પર 2.8 લાખથી વધુ મતદારો મતદાન કરશે.

પ્રથમ વખતના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ભારત વિરોધી નીતિ, ખાસ કરીને હિંદ મહાસાગર ટાપુઓમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત મોકલવાનો નિર્ણય પણ આ ચૂંટણીમાં કસોટી કરશે. ડૉ. મુઈઝુના PPM-PNC ગઠબંધને સપ્ટેમ્બર 2023માં ‘ઈન્ડિયા આઉટ’ ના નારા પર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.

ગત સંસદમાં વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાસે 44 સાંસદો સાથે બહુમતી હતી. સંસદમાં બહુમતના અભાવે મુઈઝુને નવા કાયદા બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ચૂંટણીમાં માલદીવના લોકો સામે બેરોજગારી, જટિલ માળખાકીય સુવિધાઓનો વિકાસ અને નબળી અર્થવ્યવસ્થા મુખ્ય મુદ્દાઓ છે.

કાયદો બનાવવા માટે બહુમતી મેળવવી જરૂરી
ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ – માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) – બહુમતી જીતશે. જો આમ થશે તો તે પક્ષ કારોબારી સત્તા પર અસરકારક કાયદાકીય દેખરેખનો ઉપયોગ કરી શકશે. માલદીવના બંધારણ હેઠળ, સંસદના તમામ નિર્ણયો અને સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલો સંસદીય બહુમતીથી પસાર થવા જોઈએ.

ચૂંટણી પહેલા મુઈઝુ મુશ્કેલીમાં
ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ નવી મુશ્કેલીમાં ફસાયા છે. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. આ અંગે વિપક્ષ આક્રમક છે. વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપોની તપાસની માંગ કરી છે. એટલું જ નહીં વિપક્ષ તેમની સામે મહાભિયોગ લાવવાની તૈયારી પણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: રાજસ્થાનના ઝાલાવાડમાં ગંભીર અકસ્માત, વાન- ટ્રકની ટક્કરમાં 9ના મોત

એક રિપોર્ટ અનુસાર આ લીક થયેલા રિપોર્ટ્સમાં મુઈઝુના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી 2018માં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનમાં અનિયમિતતાનો આરોપ છે. એવો આરોપ છે કે તેના બેંક ખાતામાંથી ઓછામાં ઓછા 10 વ્યવહારો શંકાસ્પદ હતા. આ નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિઓ, આ ગેરરીતિમાં રાજકારણીઓની સંડોવણી, ઉચાપત અને ભંડોળના સ્ત્રોતને છુપાવવા માટે કોર્પોરેટ સંસ્થાઓનો ઉપયોગ દર્શાવે છે.

વિપક્ષનો આરોપ
મતદાન પહેલાં MDP નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે તેમની પાર્ટી જીત વિશે આશાવાદી છે કારણ કે મુઇઝ્ઝુ વહીવટીતંત્ર છેલ્લા પાંચ મહિનામાં સ્થાનિક અને વિદેશી બંને નીતિઓમાં નિષ્ફળ ગયું છે અને માલદીવના લોકો પણ લોકશાહી મૂલ્યોમાં ઘટાડો જોઈ રહ્યા છે. . શાહિદે જણાવ્યું હતું કે મુઇઝુ “જૂઠાણું અને નફરત ફેલાવીને” સત્તામાં આવ્યા હતા અને તમામ વિકાસ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

અબ્દુલ્લા શાહિદે કહ્યું, ‘સરકારી માલિકીની કંપનીઓમાં કર્મચારીઓને ધમકાવવામાં આવે છે. વિપક્ષ તરફથી હજારો લોકોને નોકરીમાંથી સસ્પેન્ડ અને બરતરફ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. રાજકીય જોડાણના આધારે આવશ્યક સેવાઓની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાની ધમકીઓ છે.