September 18, 2024

પાકિસ્તાનમાં કેમ આમને-સામને આવી ગઈ પોલીસ અને સેના, અફઘાનિસ્તાનથી છે કનેક્શન?

Pakistan: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં એક અનોખો અને ચિંતાજનક વિવાદ સામે આવ્યો છે. જ્યાં પોલીસ અને સેના આમને-સામને આવી ગયા છે. પોલીસકર્મીઓએ તાજેતરમાં પ્રદર્શન કર્યું હતું અને હડતાલ પર ઉતરી ગયા હતા. જેમાં તેઓએ પાકિસ્તાની સેના અને આઈએસઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માંગ છે કે સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓને તેમના વિસ્તારમાંથી દૂર કરવામાં આવે. તેનું કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓ દ્વારા પોલીસકર્મીઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો છે.

તાજેતરનો તણાવ ત્યારે વધી ગયો જ્યારે TTP આતંકવાદીઓએ લક્કી મારવતમાં એક પોલીસકર્મીના બે ભાઈઓની હત્યા કરી નાખી. આ પછી પોલીસનો ગુસ્સો ઉકળી ગયો, કારણ કે પોલીસકર્મીઓનું માનવું છે કે પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈએ આતંકવાદને વધારવામાં ભૂમિકા ભજવી છે, જેના કારણે તેમને તેની કિંમત ચૂકવવી પડી રહી છે.

TTP આતંકવાદીઓ સુધી પહોંચવા માટે પાકિસ્તાની એજન્સીઓ તેમના પરિવારોને નિશાન બનાવે છે અને તેમને બંધક બનાવે છે. ઘણા પ્રસંગોએ એજન્સીઓ પૈસા લઈને પરિવારોને છોડી દે છે. તેનાથી વિપરીત પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓના લોકો સુરક્ષિત કેન્ટોનમેન્ટ વિસ્તારોમાં રહે છે. જેના કારણે આતંકવાદીઓ તેમના પર હુમલો કરવાનું ટાળે છે. પરિણામે પોલીસ અને સ્થાનિક લોકો સામે આતંકવાદીઓ દ્વારા હિંસક કાર્યવાહી ચાલુ રહે છે.

આ પણ વાંચો: RG Kar Medical Collegeમાંથી લાવારિસ બેગ મળી, બોમ્બ હોવાની આશંકા

તહરીક-એ-તાલિબાન દ્વારા હુમલામાં વધારો થતાં પોલીસકર્મીઓને સેનાની મદદ ન કરવાની સતત ધમકીઓ પણ મળી રહી છે. આ ઘટનાઓથી પરેશાન પોલીસકર્મીઓ હવે ખુલ્લેઆમ વિરોધ કરવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ ઉભો કરેલો આતંક હવે તેમના નિયંત્રણની બહાર છે અને તેઓ નાગરિકોને આતંકવાદીઓથી બચાવવામાં અસમર્થ છે.

સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પાકિસ્તાન સરકાર તહરીક-એ-તાલિબાનને ખતમ કરવા માટે વધુ એક મોટું સૈન્ય ઓપરેશન ઝર્બ-એ-અઝબ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં TTPએ 57 મોટા હુમલા કર્યા છે, જેમાં 34 પાકિસ્તાની સૈનિકો અને 8 નાગરિકો માર્યા ગયા છે. હાલમાં TTPના 8 થી 10 હજાર આતંકવાદીઓ સક્રિય છે, અને અફઘાન તાલિબાન અને અલ કાયદા સાથે તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

ટીટીપીની વધતી શક્તિ અને પ્રભાવથી પાકિસ્તાન માટે મોટો ખતરો ઉભો થયો છે અને સરકાર હવે આ આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.