September 16, 2024

બાંગ્લાદેશમાં હિંસાની આગ, આખા દેશમાં કર્ફ્યુ; PM હસીના શેખે ઉઠાવ્યું આ પગલું

Bangladesh Job Quota Protests: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત સામે વિરોધ વધુને વધુ હિંસક બની રહ્યો છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કર્ફ્યુ સંબંધિત સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બીજી તરફ, બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શુક્રવારે પોલીસે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શન પર કાર્યવાહી કરી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ઢાકામાં અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી
રોઇટર્સના અહેવાલ મુજબ પોલીસે કેટલાક વિસ્તારોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે રાજધાની ઢાકામાં ઘણી જગ્યાએ છત પરથી જ્વાળાઓ જોવા મળી હતી. વિરોધ વચ્ચે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. ઘણી ન્યૂઝ ચેનલો પણ બંધ કરી દેવામાં આવી છે.

મૃત્યુઆંકમાં સતત વધારો
બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદથી હાહાકાર, નાગપુરમાં ઓરેન્જ એલર્ટ બાદ શાળા-કોલેજ બંધ

અમેરિકન એમ્બેસીનું કહેવું છે કે- પરિસ્થિતિ ઘણી અસ્થિર છે
આ પ્રદર્શનની વચ્ચે, ઢાકામાં યુએસ એમ્બેસીએ કહ્યું કે અહેવાલો દર્શાવે છે કે બાંગ્લાદેશમાં 40 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘાયલ થયા છે. ઢાકામાં વિરોધ પ્રસરી રહ્યો છે અને હિંસક અથડામણો થઈ રહી છે. પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે.

યુરોપિયન યુનિયને જાન-માલના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી
આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથોએ સેવાઓના સસ્પેન્શન અને સુરક્ષા દળોની કાર્યવાહીની ટીકા કરી છે. યુરોપિયન યુનિયનએ કહ્યું કે તે હિંસા અને જાન-માલના નુકસાનથી ખૂબ જ ચિંતિત છે. EU એ કહ્યું, “વધુ હિંસા અટકાવવી અને કાયદાના શાસન અને લોકશાહી સ્વતંત્રતાઓના આધારે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવો મહત્વપૂર્ણ છે.”

ભારતે કહ્યું- આ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે
ભારતનું કહેવું છે કે અશાંતિ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે. જ્યાં સુધી ભારતીયોની વાત છે. તમામ 15,000 ભારતીયો બાંગ્લાદેશમાં સુરક્ષિત છે. બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ભારતીયો રોડ માર્ગે પરત ફરી રહ્યા છે.