September 20, 2024

મણિપુર હિંસામાં ગત 7 દિવસમાં 8 લોકોના મોત, રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ

Manipur: મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજધાની ઇમ્ફાલમાં ડ્રોન હુમલાના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓ માર્ચ કરી રાજભવન અને સીએમ આવાસ પહોંચ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ અને સુરક્ષા દળોને ભારે મહેનત કરવી પડી હતી. આ દરમિયાન ટીયર ગેસના અનેક રાઉન્ડ શેલ પણ છોડવામાં આવ્યા હતા.

હજારો લોકોએ તિદ્દિમ રોડ પર 3 કિલોમીટરથી વધુની કૂચ કરી અને જ્યારે પોલીસે તેમને અટકાવ્યા, ત્યારે તેઓ ભારે સુરક્ષાવાળા વિસ્તાર તરફ આગળ વધ્યા. રાજ્ય અને કેન્દ્રીય દળોની ટુકડીએ રસ્તા પર બેરિકેડ ગોઠવી દીધા છે. તેઓએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.

પોલીસ મહાનિર્દેશકને પદ પરથી હટાવવાની માંગ
વિરોધીઓ રસ્તા પર બેઠા હતા અને શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા તાજેતરના ડ્રોન હુમલાઓ અને ઘટનાઓમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં અધિકારીઓની “અક્ષમતા” ની નિંદા કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ ડ્રોન હુમલાઓને રોકવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને હટાવવાની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકોએ આ આક્ષેપ કર્યો હતો
લોકોનો આરોપ છે કે સરકાર ડ્રોન હુમલા રોકવામાં નિષ્ફળ રહી છે. મણિપુરમાં ઘણા સમયથી હિંસા ચાલી રહી છે, છેલ્લા 7 દિવસમાં હિંસા વધુ વધી છે. મણિપુરના અનેક વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે ગોળીબાર થયાના અહેવાલ છે. મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. સીએમ એન બિરેન સિંહે રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં ઘણી માંગણીઓ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિફાઇડ કમાન્ડની કમાન રાજ્ય સરકારને સોંપવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં થયેલી હિંસાએ ફરી એકવાર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ઘૂસણખોરીનો પ્રયાસ, 2 આતંકીઓને ઠાર કરાયા

ગત વર્ષથી વંશીય સંઘર્ષની ઘટનાઓ સતત ચાલી રહી છે
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી વંશીય જૂથો વચ્ચે હિંસક સંઘર્ષની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં, શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે લોકોના જીવન પાટા પર પાછા આવવા લાગ્યા. પરંતુ નવેસરથી હિંસાએ રાજ્યમાં જૂની સ્થિતિ સર્જી છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને ભાજપના ધારાસભ્યોએ રાજ્યની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા સરહદ પર ફેન્સીંગનું કામ પૂર્ણ કરવા, રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીનું કામ પૂર્ણ કરવા અને તમામ ગેરકાયદેસર વસાહતીઓને પરત મોકલવાની પણ માંગણી કરી છે.