September 22, 2024

લેબનોને બીજુ ગાઝા બનવાની મંજૂરી આપી શકાય નહીં… ચીફ એન્ટોનિયો ગુટેરેસે કેમ આવું કહ્યું?

Israel: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે મોટા તણાવ બાદ એક તરફ મોટા યુદ્ધની શક્યતા વધી ગઈ છે. તાજેતરના દિવસોમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી કરતા ઈઝરાયલી સેનાએ લેબનોનમાં અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. જેમાં ડઝનેક નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ગાઝા બાદ યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે લેબનોનમાં નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી છે.

યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વ લેબનોનને બીજું ગાઝા બનવાની મંજૂરી આપી શકે નહીં. ગયા અઠવાડિયે લેબનોનમાં પેજર અને વોકી-ટોકી હુમલામાં 37 લોકો માર્યા ગયા હતા અને 3 હજારથી વધુ ઘાયલ થયા હતા. ત્યારબાદ લેબનાન સરહદ પર ફાયરિંગ વધી ગયું છે.

તાજેતરના દિવસોમાં ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લા વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી છે. જે બાદ ઈઝરાયલના પેજર અને વોકી ટોકી હુમલા બાદ હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર ઇબ્રાહિમ અકીલ એક ઇમારત પર હુમલામાં માર્યા ગયા હતા.

“યુદ્ધ કોઈપણ ભોગે બંધ થવું જોઈએ”
એન્ટોનિયો ગુટેરેસે ઈન્ટરવ્યુમાં ભાર મૂક્યો હતો કે આપણે લેબનોનમાં કોઈપણ કિંમતે સંપૂર્ણ પાયે યુદ્ધ ટાળવું પડશે. આપણે આ તરફ વધતા તણાવને રોકવો પડશે. ઉપરાંત આપણે ગાઝા યુદ્ધ બંધ કરવું જોઈએ. તેમણે ગાઝામાં મૃત્યુ અને માનવતાવાદી કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી. જ્યારે લેબનોનને અન્ય ગાઝા બનતા અટકાવવા વિનંતી કરી.

એન્ટોનિયો ગુટેરેસનું આ નિવેદન સંયુક્ત રાષ્ટ્રની 79મી મહાસભા દરમિયાન આવ્યું છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ગાઝા યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ગુટેરેસે સ્વીકાર્યું કે સંઘર્ષ તેની અવધિ અને વિનાશના સ્તર માટે તેમની અપેક્ષાઓ કરતાં વધી ગયો છે.

આ પણ વાંચો: અમેરિકાના અલબામામાં ફાયરિંગની ઘટનામાં 4 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

“ઑક્ટોબર 7નો હુમલો ગાઝાની પીડાને યોગ્ય ઠેરવી શકે નહીં”
ગુટેરેસે 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાયલ પર હમાસના હુમલાની તેમની સખત નિંદાનો પુનરોચ્ચાર કર્યો અને ફરીથી ભાર મૂક્યો કે આ પેલેસ્ટિનિયન લોકોને સામૂહિક સજાને ન્યાયી ઠેરવી શકે નહીં. તેમણે કહ્યું કે યુનાઈટેડ નેશન્સે યુદ્ધની શરૂઆતથી જ યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાય માટે હાકલ કરી છે. “જે લોકો સાંભળવા માંગતા નથી તેમને સમજાવવું અશક્ય છે.”