September 12, 2024

ગણેશ મહોત્સવમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ: આગામી 7 સપ્ટેમ્બરથી શરૂ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં, સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીની વિશેષશાખા તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં, ગણેશ મૂર્તિની સ્થાપના માટેની પરમિટ, ગણેશ વિસર્જન, શોભાયાત્રા, સરઘસ, અને તેના વિસ્તૃત રૂટ, લાઉડ સ્પીકર વગાડવા સહિતના નિયમો અને સૂચનો આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પરમીટ આપવામાં આવશે. વધુમાં, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.

ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે. જો ગણેશ વિસર્જન શોભાયાત્રા/સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમીટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષશાખા તરફથી આપવામાં આવશે.

ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ મેળવવા આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી 15 થી 20 વ્યક્તિના નામ- સરનામાં આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.

પી.ઓ.પી.ની મૂર્તિ તથા કૃત્રિમ રંગોના ઉપયોગ કરવામાં આવેલ મુર્તિઓને નદી/તળાવમાં વિસર્જન કરવાથી પર્યાવરણને નુકશાન થાય છે અને આ મૂર્તિ ખંડીત અવસ્થામાં ઘણા સમય સુધી પડી રહેવાથી ધાર્મિક લાગણી પણ દુભાય છે જેથી પર્યાવરણની જાળવણી માટે સહભાગી બનવા ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવા અને સ્થાપના સ્થળે જ આ માટીની મૂર્તિનું “સ્થળ વિસર્જન’ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.