September 17, 2024

શાંતિ એશિયાટિકમાં આગ મામલે DEOએ કહ્યું – તપાસ બાદ કાર્યવાહી કરીશું

અમદાવાદઃ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આગની ઘટનાને છુપાવવા સ્કૂલમાં રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીથી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

શાંતિ એશિયાટિક શાળામાં આગને લઈને DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ‘આજે ફાયર વિભાગ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવશે. કેમ્પસમાં ફાયર સેફ્ટીનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે. જે જરૂરી સુવિધાઓ હોય છે તે છે કે નહીં તે અંગે પણ પૂરતી ચકાસણી કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો, આગ લાગવાની ઘટના છુપાવ્યાનો આક્ષેપ

તેઓ વધુમાં જણાવે છે કે, ‘આગની દુર્ઘટના બની છતાં ઘટનાને સ્કૂલ પ્રશાસને મોકડ્રિલ ગણાવી હતી. જેને લઈ સ્કૂલ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવશે. કારણ કે, બાળકની સુરક્ષા મહત્વની છે. આ મામલે આજે જ ફાયર સેફ્ટીની ચકાસણી કરશે. સાણંદ પ્રાંત અધિકારી અને ફાયર અધિકારીઓને બોલાવી ચકાસણી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની બેદરકારી જણાઈ છે.’

વાલીઓએ શું કહ્યું?
વાલીઓએ કહ્યુ છે કે, બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને તાત્કાલિક કલરકામ કરી દેવામાં આવ્યું છે. બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આગવાળ એકમાત્ર ક્લાસરૂમમાં કેસરી કલરનો રંગ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ આગની ઘટનાને છુપાવવા માટે રાતોરાત કલરકામ કરી નાંખ્યું છે. તેટલું જ નહીં, ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાઓનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો.