May 18, 2024

જમ્મુ કાશ્મીરના પૂંછ એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, પાંચ જવાન ઘાયલ

Jammu Kashmir Poonch Attack: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. મળતી માહિતી મુજબ, પૂંછના સુરનકોટમાં આતંકીઓએ એરફોર્સના વાહનો પર ફાયરિંગ કર્યું છે. હુમલાને અંજામ આપીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. ઘાયલ થયેલા જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એરબેઝની અંદર વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

સેનાએ શું કહ્યું?
સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું કે, ‘આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો છે. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એરબેઝની અંદર વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ હુમલામાં હજુ સુધી સૈન્યના જવાનોને ઈજા પહોંચી છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અનંતનાગમાં સેનાનું વાહન ખાડામાં પડી ગયું
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં તેમનું વાહન ખાડામાં પડી જવાથી સેનાના એક જવાનનું મોત થયું હતું અને અન્ય નવ ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, 19 આરઆરનું એક સૈન્ય વાહન બાટાગુંડ વેરીનાગ ખાતે રસ્તા પરથી લપસી ગયું અને ખાડામાં પડી ગયું. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એક આર્મી જવાનના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય નવને જુદી જુદી ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો: દિલ્હીના ક્નોટ પ્લેસમાં બિનવારસી બેગ મળતા હોબાળો, પોલીસ થઈ દોડતી

બાંદીપોરામાં આતંકવાદીઓનું ઠેકાણું નષ્ટ
શુક્રવારે, ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદી છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને બે એકે રાઇફલ્સ અને દારૂગોળો મળી આવ્યો હતો. બાંદીપોરા પોલીસે જણાવ્યું હતું કે માહિતીના આધારે, સુરક્ષા દળોએ એક સંયુક્ત ઓપરેશનમાં, અરગામના ચાંગાલી જંગલમાં આતંકવાદી છુપાયેલા ઠેકાણામાંથી બે એકે શ્રેણીની રાઈફલો, ચાર મેગેઝિન સાથે દારૂગોળો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. તેમણે કહ્યું કે કાયદાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.