September 23, 2024

લખનઉના મનકામેશ્વર મંદિરમાં બહારના પ્રસાદ પર પ્રતિબંધ, ગર્ભગૃહમાં ચઢાવી શકશો આ વસ્તુઓ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના લખનૌમાં મનકામેશ્વર મંદિરમાં બજારમાંથી ખરીદાતા પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તિરુપતિ લાડુ વિવાદ બાદ મહંત દેવ્યાગીરીએ મંદિરમાં બહારથી લાવવામાં આવેલ પ્રસાદ આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહંત દેવ્યાગીરીએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે ભક્તોએ ગર્ભગૃહમાં અર્પણ કરવા માટે તેમના ઘરેથી તૈયાર કરવામાં આવેલ પ્રસાદ અથવા ડ્રાયફ્રૂટ્સ જ પૂજારીને આપવા જોઈએ. સોમવાર સવારથી અહીં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તિરુપતિ વિવાદ બાદથી ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી છે, તેથી અહીંના મંદિરમાં તકેદારી ખાતર મંદિરમાં બહારની કોઈપણ સામગ્રી ચઢાવવા દેવામાં આવતી નથી.

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર બાદ હવે દેશના અન્ય મંદિરોમાં પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લખનૌના મનકામેશ્વર મંદિરમાં પ્રસાદ માટે નોટિસ જારી કરીને બધાને જાણ કરવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મનકામેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ફક્ત તે જ પ્રસાદ ચડાવવામાં આવે જે પોતે બનાવેલો હોય, અન્યથા બહારથી ભગવાનને પ્રસાદ તરીકે કંઈપણ ન ચઢાવવું જોઈએ. તેમજ ભક્તોને અપીલ કરવામાં આવી છે કે ગર્ભગૃહમાં પ્રસાદ તરીકે માત્ર સૂકો મેવો જ ચડાવવા જોઈએ, કારણ કે તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળને ઓછી અવકાશ છે.

તિરુપતિ બાલાજીની ઘટનાને કારણે પ્રતિબંધ
મનકામેશ્વર મંદિરમાં જારી કરાયેલી નોટિસમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રસાદને લઈને જારી કરવામાં આવેલી આ સૂચના તિરુપતિ બાલાજી આંધ્રની ઘટનાને કારણે પ્રતિબંધિત કરવામાં આવી છે. મંદિરના પીઠાધીશ્વર મહંત દેવ્યાગીરી દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: તિરુપતિ લાડુ વિવાદ બાદ મંદિરનું શુદ્ધિકરણ, દેવસ્થાનમના પ્રાયશ્ચિત માટે કરી ધાર્મિક વિધિ

દેશભરના મંદિરોમાં પ્રસાદ ચઢાવવાને લઈને ઘણી મૂંઝવણ અને ડર છે. લોકો બહારથી ખરીદેલો પ્રસાદ મંદિરમાં લેવાનું ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓનું કહેવું છે કે મંદિરોમાં આટલા પ્રતિબંધ બાદ પ્રસાદના ધંધા પર વિપરીત અસર પડી શકે છે. જ્યારે લોકો તેમના દ્વારા કરવામાં આવેલ પ્રસાદ ખરીદતા નથી ત્યારે તેઓ કેવી રીતે ટકી રહેશે? તેનાથી પ્રસાદના વ્યવસાયમાં લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.