May 17, 2024

કાવતરું રચી સાજિદે ઘરમાં ઘૂસી વિનોદના બે બાળકોને રહેંસી નાખ્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં મંગળવારે સાંજે બે નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં એક આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. યુપી પોલીસનું કહેવું છે કે વાળંદની દુકાન ચલાવતો સાજિદ નામનો વ્યક્તિ 8 વાગે તેની દુકાન બંધ કરીને સામે રહેતા વિનોદના ઘરે પહોંચ્યો હતો. બંને એકબીજાને ઓળખતા હતા. બંને વચ્ચે જુનો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સાજિદ વિનોદના ઘરે ગયો અને તેની પત્નીને ચા બનાવવા કહ્યું. તે દરમિયાન તેણે ટેરેસ પર જઈને વિનોદના ત્રણ બાળકો આયુષ, અહાન અને પીયૂષ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

મૃતક બાળકોના પિતા વિનોદ કુમારે કહ્યું, “સાજિદ મારા ઘરે આવ્યો અને મારી પત્નીને કહ્યું, ‘ભાભી મને 5,000 રૂપિયા આપો, મારી પત્નીની ડિલિવરી થવાની છે. મેં મારી પત્નીને ફોન પર પૈસા આપવા વિશે વાત કરી. આ દરમિયાન કાવતરું ઘડ્યું. તેણે મારા મોટા દીકરા પાસે પાણી માંગ્યું અને નાના દીકરાને પાર્લર બતાવવાનું કહ્યું અને આ દરમિયાન તેણે મારી નાખ્યા. પછી તેણે મારી પત્નીને કહ્યું કે આજે મારું કામ પૂરું થઈ ગયું છે. મારી પત્નીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સાજીદ બાઇક લઈને બહાર ઊભેલા તેના ભાઈ જાવેદ સાથે ભાગી ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સાજિદના હુમલામાં વિનોદના 13 વર્ષના પુત્ર આયુષ અને 7 વર્ષના પુત્ર અહાનનું મોત થયું હતું. જ્યારે 6 વર્ષના પિયુષને સામાન્ય ઈજાઓ થઈ છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકોને માર્યા બાદ સાજિદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરીને સાજીદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને દળો ત્યાં પહેલાથી જ હાજર હતા. કેટલાક લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો પરંતુ તેમને સમજાવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીની તપાસ મુજબ બાળકોની હત્યાનો એકમાત્ર આરોપી સાજિદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. નોંધનીય છે કે, ગઈ કાલે બદાયૂંમાં થયેલા એન્કાઉન્ટરમાં એક ઈન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી. બે બાળકોની હત્યાના આરોપીએ પોલીસને ઘેરી લીધા બાદ એન્કાઉન્ટર સમયે સિવિલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગૌરવ બિશ્નોઈ પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્ત ઈન્સ્પેક્ટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોપીઓએ બાળકોની માતા પાસેથી 5000 રૂપિયાની માંગણી કરી હતી.
પીડિત વિનોદ કુમારના જણાવ્યા અનુસાર સાજિદ ઘરમાં ઘુસી ગયો અને 5000 રૂપિયાની માંગણી કરી. તેણે જણાવ્યું કે તેની ગર્ભવતી પત્ની હોસ્પિટલમાં દાખલ છે. આ પછી બાળકોની માતા સંગીતાએ તરત જ તેના પતિ વિનોદને ફોન કર્યો હતો. જે બાદ તેના પતિએ સાજીદને 5000 રૂપિયા આપવાનું કહ્યું હતું. જે બાદ સંગીતાએ સાજીદને ચા માટે કહ્યું. આના પર સાજિદે તેને કહ્યું કે હોસ્પિટલ પહોંચવામાં હજુ બે કલાક બાકી છે. સંગીતા ચા બનાવવા ગઈ કે તરત જ સાજિદે તેના મોટા પુત્ર આયુષને તેની માતાનું પાર્લર બતાવવાનું કહ્યું.

આયુષ તેને પાર્લર બતાવવા બીજા માળે લઈ ગયો કે તરત જ સાજીદે લાઈટો બંધ કરી દીધી અને છરી વડે આયુષની હત્યા કરી નાખી. આ દરમિયાન નાનો દીકરો અહાન પાણી લઈને પહોંચ્યો કે તરત જ સાજિદે તેને પકડીને મારી નાખ્યો. સાજીદે પીયૂષ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેના અંગૂઠા પર છરી વાગી હતી અને માથા પર થપ્પડ મારવામાં આવી હતી. પરંતુ તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. તે દરમિયાન સાજીદ તેના મિત્ર જાવેદ સાથે બાઇક પર ત્યાંથી ભાગી ગયો હતો.

નિર્દોષ લોકોની હત્યાથી રોષે ભરાયેલા લોકોએ સાજીદની દુકાનની બહારનો સામાન સળગાવી દીધો હતો. પોલીસ આ ઘટનામાં સાજીદની ભૂમિકા જ કહી રહી છે. પરંતુ પરિવારનું કહેવું છે કે સાજીદ સાથે તેનો ભાઈ જાવેદ પણ આવ્યો હતો. બંને વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે બે નિર્દોષ લોકોના જીવ લેવા પાછળનો હેતુ શું હતો.