September 19, 2024

પૂજા ખેડકરને મોટી રાહત, 21 ઓગસ્ટ સુધી નહીં થાય ધરપકડ; દિલ્હી HCએ આપ્યો આદેશ

નવી દિલ્હી: મહારાષ્ટ્રની IAS ઓફિસર પૂજા ખેડકરને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે દિલ્હી પોલીસને 21 ઓગસ્ટ સુધી પૂજાની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી પોલીસે પૂજા વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. પૂજા ખેડકરની આગોતરા જામીન અરજીની નોંધ લેતા જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે હાલના કેસના તથ્યોને ધ્યાનમાં લેતા કોર્ટનો અભિપ્રાય છે કે આગામી સુનાવણી સુધી અરજદારની ધરપકડ ન કરવી જોઈએ.

દિલ્હી હાઈકોર્ટ પૂજા ખેડકરની જામીન અરજી પર 21 ઓગસ્ટે સુનાવણી કરશે. જોકે, કોર્ટે કહ્યું કે પૂજા ખેડકરે તપાસમાં સહકાર આપવો પડશે. જસ્ટિસ પ્રસાદે દિલ્હી પોલીસને પૂછ્યું કે પૂજા ખેડકરની કસ્ટડીની શું જરૂર છે? જ્યારે આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી નથી અને બધું તેણે જ કર્યું હોવાનો આરોપ છે.

પટિયાલા હાઉસ કોર્ટે આ વાત કહી હતી
અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને દિલ્હી પોલીસને વ્યાપક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસને એ પણ જાણવા માટે કહેવામાં આવ્યું હતું કે શું આવા વધુ મામલા છે અથવા તો વિભાગની અંદર કોઈ વ્યક્તિએ પૂજા ખેડકરને મદદ કરી છે, તો તેની પણ તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: સિસોદિયા બાદ શું કેજરીવાલ આવશે જેલની બહાર? જામીન માટે SCમાં કરી અરજી

પૂજા ખેડકર પર છેતરપિંડીનો આરોપ
પૂજા ખેડકર પર સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો આરોપ છે. 2022ની UPSC પરીક્ષામાં તેણે પોતાની અરજીમાં ખોટી માહિતી આપી હતી અને તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા.