September 18, 2024

શ્રાવણ માસના મંગળવારે કષ્ટભંજન દેવને અનોખો શણગાર, સિંહાસને 9 ગ્રહનો શણગાર

બોટાદઃ શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો શણગાર કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.20-08-2024ને મંગળવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ માસના પવિત્ર મંગળવારના દિવસે દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો શણગાર છે. વાઘા રાજકોટના ભક્તે 3 દિવસની મહેનતે બનાવ્યા છે. 9 ગ્રહનો શણગાર તૈયાર કરતાં 4 દિવસનો સમય લાગ્યો છે.

શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.