May 18, 2024

પ્રથમ ચરણના 16 ટકા ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, 42 સીટો પર રેડ એલર્ટ

19 એપ્રિલે પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જેમાં 21 રાજ્યોની 102 લોકસભા સીટો પર વોટિંગ થશે. (ફાઇલ ફોટો)

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે કુલ 1618 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. જેમાંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવારો વિરૂદ્ધ આપરાધિક મામલાઓ નોંધાયેલા છે. નેશનલ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યા બાદ આ ડેટા જાહેર કર્યો છે.

તમને જણાવી દઇએ કે, 19 એપ્રિલે પ્રથમ ચરણનું મતદાન થવાનું છે જેમાં 21 રાજ્યોની 102 લોકસભા સીટો પર વોટિંગ થશે. આ વખતે સાત ચરણોમાં મતદાન થવાનું છે. 19 એપ્રિલ બાદ 26 એપ્રિલ, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થસે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાત ચરણોમાં ચૂંટણી યોજાવાની છે. જેના પછી 4 જૂને પરિણામ જાહેર થશે.

એડીઆરના રિપોર્ટની વાત કરીએ તો 10 ટકા ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાત એવા ઉમેદવારો છે જેમના પર હત્યા, 18 પર મહિલા વિરૂદ્ધ અપરાધ (બળાત્કાર) અને 35 ઉમેદવારો વિરૂદ્ધ હેટ સ્પીચના મામલા નોંધાયેલા છે. રિપોર્ટમાં જાણકારી મળી છે કે, 77માંથી 28 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને 56માંથી 19 કોંગ્રેસના ઉમેદવારોએ સોગંદનામામાં માન્યું છે કે, તેમના પર આપરાધિક કેસ નોંધાયેલા છે. ત્યાં જ રાષ્ટ્રીય જનતા દળની વાત કરીએ તો આ ચરણના ચારેય ઉમેદવારો વિરૂદ્ધ આપરાધિક મામલાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો: જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું, ત્યાં સુધી આરામ કરીશ નહીં: PM મોદી

41 ટકા સીટો પર રેડ એલર્ટ
ડીએમકે, સપા, ટીએમસી અને બીએસપીના આપરાધિક મામલાવાળા ઉમેદવારોની ટકાવારા ક્રમશ: 59, 43, 40 અને 13 છે. 102 માંથી 42 લોકસભા સીટો પર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, રેડ એલર્ટ એવી સીટો પર જારી કરવામાં આવે છે જેના પર ત્રણથી વધુ ઉમેદવારો પર આપરાધિક મામલા નોંધાયેલા હોય છે.

એડીઆરની રિપોર્ટ અનુસાર 1918 ઉમેવારોમાંથી 450ની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે. ભાજપાના 90 ટકા ઉમેદવારો કરોડપતિ છે. ત્યાં જ કોંગ્રેસના 88 ટકા ઉમેદવારો પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે. ત્યાં જ આ વખતે પ્રથમ ચરણમાં ચૂંટણી લડનારા 10 ઉમેદવારો એવા પણ છે જેમનું કહેવું છે કે તેમની પાસે કોઇ સંપત્તિ નથી. ત્યાં જ વાત કરીએ તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિની તો તે 4.51 કરોડ છે.

ટીએમસીના પાંચ ઉમેદવારો પાસે સરેરાશ 3.72 કરોડની સંપત્તિ છે. સંપત્તિના મામલે ટોપ ત્રણ ઉમેદવારોમાં કોંગ્રેસના નકુલ નાથ (716 કરોડથી વધુ), એઆઇડીએમકેના અશોક કુમાર (662 કરોડ) અને બીજેપીના દેવનાથન યાદવ ટી (304 કરોડ) સામેલ છે. ત્યાં જ સૌથી ઓછી સંપત્તિની ઘોષણા કરનાર ઉમેદવાર કોંગ્રેસથી છે.