September 28, 2024

કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાના 4 જવાન ઈજાગ્રસ્ત

Jammu Kashmir: કાશ્મીરના કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ અથડામણમાં સેનાના ત્રણ જવાન અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર માહિતી આપતા ભારતીય સેનાએ કહ્યું, “ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર દ્વારા આજે કુલગામના અરીગામમાં એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો જોકે, હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી
સોશિયલ મીડિયા પર માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે લખ્યું, “કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. પોલીસ અને સુરક્ષા ઘટનાસ્થળે હાજર છે. વધુ માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.” આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આ ઘટના સામે તો ‘દ્રશ્યમ’ ફિલ્મ પણ ફેલ! 30 વર્ષ પહેલા હત્યા, લાશ ઘરમાંથી જ નીકળી

આ ઓપરેશનમાં સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે ખીણમાં આતંકીઓ પર કાર્યવાહી કરવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

6 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી
શુક્રવારે, પોલીસે પુલવામાના અવંતીપોરામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકી સહયોગીઓની ધરપકડ કરી છે. તેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. પોલીસે તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝિન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. બાતમી મળતાં પોલીસે આ કાર્યવાહી કરી હતી.