September 17, 2024

ગાંધીનગરની બ્રાઇટ શાળાની અનોખી પહેલી, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને પડતી તકલીફ વિશેનો પ્રોજેક્ટ રજૂ કર્યો

મલ્હાર વોરા, ગાંધીનગરઃ આજની પેઢીમાં કેટલાક યુવાનો લગ્નબાદ તેમના માતા-પિતાને તરછોડીને અન્ય શહેરમાં વસી જાય છે અથવા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પરંતુ આવનારી પેઢી વૃદ્ધ માતા-પિતાની સાચવણી કેવી રીતે કરવી, ઘરમાં રહેલા વયોવૃદ્ધની સાચવણી, તેને હૂંફ કેવી રીતે આપવી તે વિષય પર ગાંધીનગરના કરાઈ પાસે આવેલી બ્રાઇટ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

માતા-પિતા સંતાનને ઉછેરીને મોટા કરે છે અને પગ પર બનાવે છે, તે સંતાનો લગ્ન બાદ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે અથવા તો અન્ય શહેરોમાં શિફ્ટ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ઘરોમાં તો વૃદ્ધો પર ઘરમાં જ પરિવારના કેટલાક સભ્યોએ દૂર વ્યવહાર કરતા હોવાની પણ ઘટનાઓ સામે આવે છે. દેશ સહિત રાજ્યમાં વૃદ્ધોને વૃદ્ધાશ્રમ અથવા તો તરછોડી મૂકવાની ઘટનાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આવનારી પેઢી ઘરના વડીલો એટલે કે વૃદ્ધોની કદર કરે અને તેમના પાસેથી જીવન જીવવાના અમૂલ્ય પાઠ શીખે તે હેતુસર ગાંધીનગરના વલાદમાં આવેલી બ્રાઇટ સ્કૂલ આનંદબા કેમ્પસમાં નર્સરીથી લઇને ધોરણ 11 સુધી અભ્યાસ કરતા બાળકો દ્વારા આનંદબ વૃદ્ધાશ્રમ પ્રોજકટનું આયોજન કર્યું હતું. જેમાં તમામ બાળકોના માતા-પિતા સહિત ઘરના વડીલોને પણ આ કાર્યકમમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપ્યું હતું.

સ્કૂલના ટ્રસ્ટી માલવ ત્રિવેદી દ્વારા બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સામાજિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી‘આનંદબા વૃદ્ધાશ્રમ’નો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. જેથી ભવિષ્યમાં આવનારી પેઢીના મગજમાં વૃદ્ધાશ્રમ શબ્દ નાબૂદ થઈ જાય. સમાજમાં વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. આ સુંદર મેસેજ સાથે તમામ શિક્ષક તથા વિદ્યાર્થીઓ વૃદ્ધ સાથે વ્યવહારનો જાત અનુભવ કર્યો હતો.

શાળાના બાળકોને વૃદ્ધનો વેશધારણ કરીને તેમની સાથે ઘરના અન્ય વ્યક્તિ કેવો વ્યવહાર કરે છે. ત્યારબાદ ઘરના પરિવારના સભ્યો આ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા બાદ વૃદ્ધોની માનસિક પરિસ્થિતિ, તેમની તકલીફો વિશે જાણે તે માટે નાટકનું પણ આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં વૃદ્ધોનું સન્માન કરીને તેમના પ્રત્યે હૂંફ અને લાગણી રાખે આ સિવાય બાળકોના માતા-પિતા અને પરિવારના સભ્યો પણ આ આનંદબા વૃદ્ધાશ્રમ પ્રોજેક્ટ નિહાળીને ઘરના વડીલોની એક નાના બાળકની જેમ માવજત કરવી તેવો સંદેશો આપ્યો હતો.