October 18, 2024

દિવાળીને લઈને 8 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપ પર બસ દોડાવશે, 3 લાખથી વધુ મુસાફરોને ફાયદો

અમદાવાદઃ શહેરી તેમજ છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. આગામી દિવાળીના તહેવારોમાં 8340 એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ-મધ્ય ગુજરાતમાંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઈ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18%નો વધારો જોવા મળી રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૬૬૬૬૬૬ ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.

ઉલેખ્ખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરી ને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.૨૬ થી તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની ૨૨૦૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.