September 17, 2024

વરસાદથી પ્રભાવિત લોકોને 367 કરોડની સહાય, સરકારે 50 હજાર કુટુંબને ઘરવખરી આપી

ગાંધીનગરઃ વરસાદ અને તેની પરિસ્થિતિ મુદ્દે રાહત કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. રાહત કમિશનર આલોક પાંડે એ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન થયું હતું. 25 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ થયો હતો. 30 ટકા જેટલો વરસાદ થયો છે. હાલ રાજ્યમાં 108 ટકા વરસાદ નોંધાયો છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘રાજ્યના તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. પાંચ દિવસના વરસાદમાં CM સતત SEOC ખાતે આવ્યા હતા. સાવચેતીનાં પગલે પ્રભારી સચિવને પ્રભાવિત જિલ્લામાં મોકલ્યા હતા. 25થી 30 ઓગસ્ટ વરસાદ થયો છે તેમાં 14 જિલ્લા પ્રભાવિત થયા છે. 16.95 લાખ કરતાં વધુ લોકોને કેશડોલ્સ ચૂકવી દેવામાં આપી છે. 5 હજાર રૂપિયા કેશડોલ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી છે. જ્યારે 50,011 હજાર કુટુંબોને ઘરવખરી આપવામાં આવી છે.’

તેમણે કહ્યુ કે, ‘મૃત્યુમાં 88 લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. જેમાં 22 લોકોને રૂપિયા આપ્યા છે. કુલ 49 લોકોનાં મોત થયા હતા. હજુ બેથી ત્રણ લોકોને મૃત્યુ સહાય આપવાની બાકી છે જે બે દિવસમાં મળશે. 2618 પશુનાં મોત માટે ચુકવણું કર્યું છે. મકાન સહાય, કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડા તૂટી ગયાં છે. તે તમામને સહાય તરીકે 367 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

અન્ય માહિતી આપતા તેમણે કહ્યુ કે, ‘NDRFની 17 ટીમ, SDRFની 27 ટીમ, આર્મીની 9 ટીમોને મોકલી હતી. એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની પણ ખૂબ મદદ મળી છે. અત્યાર સુધીમાં કુલ 42,083 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે 37,050 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 2223 કિલોમીટર રોડ ડેમેજ થયો છે. જે માત્ર 6 દિવસની કામગીરીમાં જ રિપેર કરી દેવામાં આવ્યો છે.’

તેઓ કહે છે કે, ‘6931 ગામ અને 17 શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ હાલ તમામ જગ્યાએ પુન કાર્યરત છે. 700 કરોડની ગ્રાન્ટ શહેરી વિભાગે જાહેર કરી છે. જે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મનપા અને નગરપાલિકાને આપવામાં આવી છે. 880 સેલ્ટર હોમમાં લોકો શિફ્ટ થયા હતા. 1.65 લોકોને કેશડોલ ચૂકવાઈ છે. ભારત સરકારની 6 સભ્યોની એક ટીમ આવશે. આ ટીમમાં અલગ અલગ વિભાગના અધિકારી હશે અને તે ટીમ સરવે કરશે.’