September 8, 2024

રાજ્યમાં 3 જગ્યાએ વીજળી પડતા 21 પશુ સહિત એક બાળકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવ બન્યાં છે. જેમાં કચ્છમાં વીજળી પડતા 20 ઘેટાં-બકરાંના મોત નીપજ્યા છે. તો અમદાવાદના પલવાડા ગામે એક પશુનું મોત નીપજ્યું છે. તો ખેડામાં એક બાળકનું મોત નીપજ્યું છે.

કચ્છમાં 20 પશુઓનાં મોત
કચ્છના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં વીજળી પડતા 20 ઘેટાં-બકરાંના મોત નીપજ્યા છે. ગામની સીમમાં વીજળી પડી હતી. અંદાજે રાતના સાડા આઠ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં શંકર મહેશ્વરી નામના માલધારીના ઘેટાં-બકરાંનું મોત થયું હતું. ત્યારે એકસાથે 20 પશુઓ મોતને ભેટતા ગરીબ માલધારી પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી.

સાણંદમાં એક પશુનું મોત
અમદાવાદના સાણંદ તાલુકાના પલવાડા ગામે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં એક પશુનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઠાસરામાં એક બાળકનું મોત
ખેડાના ઠાસરામાં આવેલા દીપકપુરા ગામે વીજળી પડતાં 1 બાળકનું મોત નીપજ્યું છે. ગામના સીમ વિસ્તારમાં 13 વર્ષીય બાળક પર વીજળી પડી છે. જેમાં અન્ય 2 જેટલા લોકો ઘાયલ થયા છે. ખેતરમાં ડાંગરનું ધરું રોપતા હતા. તે સમયે અચાનક જ વીજળી પડી હતી. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા અજય રાઠોડ નામના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે મહેન્દ્ર રાઠોડ અને અરવિંદ રાઠોડ ઘાયલ થતાં તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.