September 8, 2024

અંકલેશ્વર હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ, બે સગી બહેનોના મોત

ભરૂચ: ભરૂચ નજીક આવેલા અંકલેશ્વર નજીક હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારની બે સગી બહેનોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ અકસ્માતમાં પિતા ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પટલ ખસેડાયા છે. આ અકસ્માત મોપેડ અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયો હતો. સમગ્ર ઘટના વિશે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલા આમલાખાડી ઓવરબ્રિજ પર મોપેડ સવાર 2 બહેનો અને પિતાને એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. તાજીયાનું ઝુલુસ જોઈ પરત આવી રહેલા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનામાં મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા અને પિતાને ગંભીર ઈજા થતા તેમને નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં જ આ ઘટનાની માહિતી મળતા જ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: હરણી બોટકાંડની અર્ધવાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા ધરણા કરે તે પહેલા જ અટકાયત

રાજકોટમાં ફાર્મસીનો અભ્યાસ કરતી યુવતીનું મોત
બીજ એક ઘટના રાજકોટમાં બની હતી, જેમાં 22 વર્ષીય નિરાલી કાકડિયા નામની યુવતીને કરન્ટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નિરાલી કાકડિયા ફાર્મસીમાં જોબ કરીને પોતાના ઘરે પરત ફરતી હતી. તે દરમિયાન વાહન લઈને જતી યુવતીને વીજ કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે બાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, રસ્તામાં રહેલા ખુલ્લા વીજ વાયારને અડકી જતાં શોટ લાગ્યો હતો અને આ દુર્ઘટના મનપા અને PGVCLની બેદરકારીના કારણે બની છે.