September 6, 2024

ચાંદીપુરાએ લીધો વધુ એક બાળકનો ભોગ, ખેડાના બાળકને લક્ષણ દેખાતા સારવાર માટે ખસેડ્યો હતો

ખેડાઃ મહેમદાવાદના પથાવત ગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસથી 1 બાળકનું મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 વર્ષના બાળકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે.

સીમ વિસ્તાર ભાવસીપુરામાં હિતેષ ગફુરભાઈ ચૌહાણને તાવ આવતા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હલધરવાસ CHC સારવાર માટે લાવતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે.

આરોગ્ય વિભાગે ભાવસીપુરા વિસ્તારમાં આવેલા 17 ઘર અને 69 લોકોનાં સેમ્પલ લીધા છે અને તાત્કાલિક ટેસ્ટિંગ માટે મોકલી આપ્યાં છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ સહિત ફોગિંગ કર્યું છે.

ક્યાં કેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા?
વડોદરામાં 1 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને કચ્છમાં 1 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
સાબરકાંઠામાં 1 કેસ, અરવલ્લીમાં 2 કેસ, મહેસાણામાં 2 કેસ, ગાંધીનગરમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, મોરબીમાં 1 કેસ, વડોદરામાં 1 કેસ, આમ મળીને કુલ 9 કેસ ચાંદીપુરા વાયરસના જોવા મળ્યા છે.

કયા જિલ્લામાં કેટલા મોત થયાં?
સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, પંચમહાલમાં 4, મોરબીમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, દાહોદમાં 2, બરોડામાં 1, દ્વારકામાં 1 એમ કુલ મળીને 27 દર્દીઓનાં મોત નીપજ્યા છે.