October 28, 2024

લશ્કર-એ-ઈસ્લામે ખૈબર પખ્તુનખ્વામાં આતંક મચાવ્યો, ફ્રન્ટિયર કોર્પ્સ ચેક પોસ્ટ પર હુમલો

Khyber Pakhtunkhwa terrorist attack: પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ અટકી રહી નથી. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર ફ્રન્ટિયર કોર્પ્સની એક ચેક પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. ફ્રન્ટિયર કોર્પ્સની ચેકપોસ્ટ પર થયેલા હુમલામાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે. પોલીસે માહિતી આપતા કહ્યું, પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-ઈસ્લામે હુમલાની જવાબદારી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર જિલ્લાના તિરાહ ઘાટીમાં એફસી ચેક પોસ્ટ પર રવિવારે થયો હતો.

જાણો શું છે લશ્કર-એ-ઈસ્લામ
લશ્કર-એ-ઈસ્લામ એ એક દેવબંદી જેહાદી આતંકવાદી જૂથ છે જે પાકિસ્તાનના ખૈબર જિલ્લામાં અને પડોશી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં સક્રિય છે. આ વર્ષે 25 એપ્રિલે લશ્કર-એ-ઈસ્લામના નેતા હાજી અકબર આફ્રિદીની ખૈબર જિલ્લાના બારા વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. લશ્કર-એ-ઈસ્લામ તેની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ સંગઠનનો હેતુ વિવિધ સમુદાયોને ડરાવવા અને ભય પેદા કરવાનો છે.

ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો
નોંધનીય છે કે, ખૈબર પખ્તુનખ્વામાં ભૂતકાળમાં પણ સૈનિકોને નિશાન બનાવીને હુમલા થયા છે. તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં 10 જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દરબાન વિસ્તારમાં ચેકપોસ્ટ પર હુમલા બાદ થયેલા એન્કાઉન્ટરમાં આ તમામ સૈનિકો માર્યા ગયા હતા. 2021માં કાબુલમાં તાલિબાનની સરકાર બની ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે.