આદિવાસીઓની પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી, પુરુષો ઘૈરીયા બન્યા
![narmada aadiwasi Celebrating Dhutheti traditional tribal way men became ghairiyas](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2024/03/Narmda-Holi.jpg)
નર્મદા જિલ્લાના આદિવાસીઓએ પરંપરાગત રીતે ઉજવણી કરી
પ્રવિણ પટવારી, નર્મદાઃ જિલ્લામાં મોટાભાગે આદિવાસી વસતિ છે. ત્યારે ગઈકાલે જ આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી દહનના કાર્યક્રમ બાદ આજથી પાંચ દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવશે. આ ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘૈરીયાનું રૂપ ધારણ કરી આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે અને ઘૈર ઉઘરાવી સંતોષ માને છે.
એક પરંપરા મુજબ હોળી દહન પછીના પાંચ દિવસ સુધી માનતા કે બાધા રાખેલા આદિવાસી યુવાન ઘૈરીયાનું રૂપ ધારણ કરી ફરે છે અને ઘરમાં જતો નથી. જ્યારે કેટલાક યુવાનો સ્ત્રીવેશ ધારણ કરીને પણ ફરે છે. આદિવાસી પરંપરાગત નૃત્ય કરી આ ઉત્સવને ઉજવે છે. આજે આ પરંપરા લુપ્ત થઈ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં આજે આ ઘૈર નૃત્ય જોઈ લોકટોળા પણ જામ્યા હતા.
આ પણ વાંચોઃ વિસનગરમાં ઉજવાતી અનોખી ધૂળેટી, એકબીજાને ખાસડાં મારે છે
વનવાસી વિસ્તારોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નસવાડીનું ધમાલ ગ્રુપ આજે રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું. 50થી વધુ રંગબેરંગી કપડાં અને પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી અને નાચગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી. હોળીનો તહેવાર આદિવાસીઓ માટે સૌથી મોટો તહેવાર છે. તેઓ શ્રદ્ધા અને આસ્થાથી આ તહેવારની ઉજવણી કરે છે. પહેલા ઘેરની ઘણી બોલબાલા હતી, પરંતુ છેલ્લા 5-7 વર્ષથી આ ઘેર લુપ્ત થવા પામી છે.