July 3, 2024

Rathyatra 2024: રથયાત્રા રૂટ પર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ

મિહિર સોની, અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં અમદાવાદ પોલીસે આ રથયાત્રાને લઈને સજ્જ થઈ છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને કરવામાં આવેલી તૈયારીઓ તેમજ રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ અન્ય સિનિયર IPS અધિકારીઓને જગન્નાથ મંદિરની મુલાકાત લઈને રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી નિરીક્ષણ કર્યું હતું.

આ વખતે પણ રથયાત્રામાં ટેક્લોનોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ જીપીએસ કેમેરા સહિત બોડીવોર્ન કેમેરા અને અન્ય ટેક્નોલોજી થકી શહેર પોલીસ રથયાત્રા દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. કોમી એખલાસ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસે ગુનેગારો સામે પણ કમર કરી કડક કાર્યવાહી કરી છે.

101 શણગારેલાં ટ્રક બનશે આકર્ષણ 

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરયાત્રાએ નિકળશે. ત્યારે આ 22 કિમી લાંબી રથયાત્રામાં અનેક કરતબ બાજો, અખાડા,ભજન મંડળી, ટ્રક ચાલકો જોડાય છે. જેમાં ટ્રક એસોસિએશન દ્વારા દર વર્ષે અવનવી ટ્રક શણગારીને લોકોનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે. ત્યારે, મોટી સંખ્યામાં ટ્રકો રથયાત્રાની શોભા વધારશે. આ વર્ષે 101 જેટલી ટ્રક રથયાત્રામાં જોડાશે.

શણગારેલા આ 101 ટ્રકમાં નવું સાંસદ ભવન, બેટી બચાવો, વૃક્ષો વાવો જેવી થીમ પર ટ્રકોને શણગારવામાં આવશે. તો, સૌથી સારી ટ્રક શણગારવામાં આવી હશે તેને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેવું ટ્રક એસોસિએશન પ્રેસિડેન્ટ વિશાલ લોધાએ News Capital સાથે વાત કરતા જણાવ્યું છે. તો વધુમાં, 33 જેટલી ટ્રકોને ઈનામ પણ આપવામાં આવશે. જેમાં શણગારેલી ટ્રક, ટ્રકમાં વિશેષ વેશભૂષા અને કઈ થીમ પર ટ્રકને શણગારવામાં આવી છે. તે દરેક બાબતોનું ધ્યાન રાખીને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.