September 16, 2024

શેખ હસીનાની મુશ્કેલીઓમાં થયો વધારો, બાંગ્લાદેશમાં નોંધાયા વધુ 2 કેસ

Bangladesh: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે તેની સામે વધુ બે કેસ નોંધાયા છે. આ પછી તેની સામે કુલ કેસની સંખ્યા વધીને 94 થઈ ગઈ છે. ગયા મહિને હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી હતી. તેમની સામે નોંધાયેલા મોટાભાગના કેસ સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમના વિવાદ સાથે જોડાયેલા છે. જેમાં અનેક વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 જુલાઈએ વિરોધ પ્રદર્શન દરમિયાન ઢાકાના રહેવાસીની હત્યાનો કેસ પૂર્વ સીએમ શેખ હસીના અને અન્ય 26 લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. મૃતકની પત્નીએ ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અફનાન સુમીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ મામલામાં પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન, અવામી લીગના મહાસચિવ ઓબેદુલ કાદર અને અવામી લીગ અને તેના અન્ય સંગઠનોના ઘણા નેતાઓ અને કાર્યકરો આરોપી છે.

જાત્રાબારી વિસ્તારમાં એક વિદ્યાર્થીના મૃત્યુ મામલે શેખ હસીના, પૂર્વ કાયદા મંત્રી શફીક અહેમદ અને અન્ય 293 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેમના પુત્રએ 5 ઓગસ્ટે અનામત સુધારણા આંદોલનમાં ભાગ લીધો હતો. સવારે 9 વાગે તેઓ જાત્રાબારી પોલીસ સ્ટેશન ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. તેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ પણ વાંચો: બ્રુનેઈ એક સમયે હિંદુ-બૌદ્ધ દેશ હતો, જાણો ઈસ્લામિક દેશ બનવાની કહાણી

મૃત્યુઆંક 600ને પાર કરી ગયો છે
બાંગ્લાદેશ હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 600ને પાર કરી ગયો છે. વિરોધ ઉગ્ર બન્યા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તે ભારત આવ્યા. હાલમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશ ચલાવી રહી છે. દેશના નિર્ણયો તેમના હાથમાં છે.