October 27, 2024

MPમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાથી અફરાતફરી, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને બચાવ્યો જીવ

Madhya Pradesh Train fire: મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાને કારણે ખળભળાટ મચી ગયો છે. સ્થિતિ એવી બની કે મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો. આ ટ્રેન ઈન્દોરથી રતલામ આવી રહી હતી. ડેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ ઘટના રૂણીજા અને પ્રીતમ નગર વચ્ચે બની હતી.

શું છે સમગ્ર મામલો?
ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવાનો કોઈ રસ્તો નહોતો. સ્થાનિક લોકો અને રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત હતા. સ્થાનિક ખેડૂતોએ તેમના મોટર પંપ અને પાઈપનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં મદદ કરી હતી અને તેમની તત્પરતાના કારણે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટના બાદ ટ્રેનને રતલામ લાવવા માટે વૈકલ્પિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ધટના બાદ રેલવે પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.

શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી
અગાઉ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં બે લોકોની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. માહિતી અનુસાર, મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે લગભગ 10 મુસાફરો ઘાયલ થયા હતા.

ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, દર વર્ષે દિવાળી અને છઠ દરમિયાન ભારતીય રેલવેની ટ્રેનોમાં ભીડ જોવા મળે છે. દેશના અલગ-અલગ શહેરોમાંથી લોકો તહેવાર મનાવવા માટે યુપી-બિહાર જાય છે. દરમિયાન મોટી ભીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બીજી બાજુ, બાંદ્રા ટર્મિનસ પર થયેલા અકસ્માત બાદ રેલ્વેએ કહ્યું છે કે સાપ્તાહિક ટ્રેન બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસનું સમયપત્રક ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેન સવારે 5:10 કલાકે દોડવાની હતી. રિ-શિડ્યુલ કર્યા બાદ આજે સવારે ટ્રેન પ્લેટફોર્મ પર મોડી આવી હતી. રાત્રે 3 થી 3:30ની આસપાસ ટ્રેન આવી. સ્ટેશન પર ભારે ભીડને કારણે સામાન્ય બોગીમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. દુર્ઘટમાં 9 લોકો ઘાયલ થયા હતા, પરંતુ રેલ્વેએ પુષ્ટિ કરી છે કે કુલ 10 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોના પગમાં ફ્રેક્ચર થયું છે તો કેટલાકના કમરમાં ફ્રેક્ચર થયું છે. બે ઘાયલોને રજા આપવામાં આવી છે, બાકીનાને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન આખરે 5:10 વાગ્યે રવાના થઈ હતી.