September 12, 2024

સોનાના તોલે કેમ ગણવામા આવે છે મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ

Magha Nakshatra: આપણા દેશનો પ્રાચીન ઇતિહાસ અને વૈદિક મહત્વ ખુબ જ પ્રાચીન માનવામાં આવે છે જે પૈકી ચોમાસામાં વરસતા વરસાદ દરમિયાન આવતા મઘા નક્ષત્રના વરસાદના પાણીનું અનોખું મહત્વ છે. મઘા નક્ષત્રમાં પડતા વરસાદી પાણીનો ધાર્મિક અને આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નક્ષત્રમાં ધરતી ઉપર પડતા પવિત્ર પાણીથી ધરતી તૃપ્ત બને છે અને મબલક પાક ઉતરે છે. આપણા ગુજરાતી ભાષામાં મઘા નક્ષત્રને લઈ એક કહેવત પણ છે જેમાં કહેવામાં આવે છે કે,‘મઘા કરે ધાનના ઢગા…’ એટલે કે મઘા નક્ષત્રમાં પડેલા વરસાદના પાણીથી ખેડૂતોને ખેતીમાં સારો એવો પાક મળે છે અને તેમના ઘરે ધાનના ઢગલા થઈ જાય છે.

મઘા નક્ષત્રને લઈ એવું પણ કહેવામાં આવે છે કે, આ દિવસોમાં વરસાદ પડે તો તેને ખાસ સંગ્રહી રાખવું જોઈએ. આ પાણીને આખું વર્ષ સાચવીને રાખો તો પણ તે બગડતુ નથી. કોઈ પણ દુખાવામાં આ પાણી પીવામાં આવે તો તો દવા જેવું કામ કરે છે.

આ પણ વાંચો: ચોરોને બચાવવા સંતે ઘોડાનો રંગ બદલીને ધોળો કર્યો, શિવજી ઓળખાયા ‘ધોળેશ્વર મહાદેવ’ તરીકે

પંચાગ અનુસાર, સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ તારીખ 16/8/2024નાં દિવસે થઈ ગયો છે. સૂર્યનારાયણ સાંજના 7 વાગીને 55 મિનિટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રનું વાહન શિયાળનું છે. વાહન શિયાળો હોવાથી વરસાદ માધ્યમ ગણી શકાય.

પંચાગ અનુસાર, મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17 ઓગસ્ટ, 2024થી 31 ઓગસ્ટ, 2024 સુધી રહેશે. આ દિવસનો સમયગાળામાં જેટળો પણ વરસાદ પડે તે બહુ જ સારો કહેવાય છે. આ સમયગાળા દરમિયાન જેટલો પણ વરસાદ પડે છે તેનો ઉપયોગ જો તમે રોજિંદા ઉપયોગમાં લો તો શરીર માટે ફળદાયી સાબિત થાય એવું પણ કહેવાય છે.

અનેક લોકો સંગ્રહે છે મઘા નક્ષત્રનું પાણી
ભારતીય શાસ્ત્રોનું મહત્વ સમજીને ઘણા લોકો મઘા નક્ષત્રના પાણીને આખા વર્ષ સુધી સાચવીને રાખે છે ખાસ કરીને ખેડૂતો મઘા નક્ષત્રના પાણીને સાચવી રાખવામાં અવ્વલ હોય છે. કેટલાક ઘરોમાં ટાંકામાં ખાસ આ નક્ષત્રનું પાણી સાચવીને રાખવામાં આવે છે. કારણ કે તે બગડતુ નથી.

કેવી રીતે લેશો મઘાનું પાણી
તારીખ 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડે તો ઘરની અગાશીમાં, ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા સ્ટીલના બેડલા કે માટલામાં આ પાણીનો સંગ્રહ કરી લેજો. આ દિવસોમાં તમારાથી થાય એટલુ પાણી સંગ્રહીને રાખજો, જેથી આખું વર્ષ કામમાં આવે.