May 21, 2024

અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈ રાજ્યમાં એક્સ્ટ્રા બસો મૂકાશે

અમદાવાદ: આગામી હોળી-ધૂળેટીના તહેવારને લઈ ગુજરાત રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન લોકો પોતાના માદરે વતન જઈ શકે તેની સુવિધા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત રાજ્યમાં એક્સ્ટ્રા બસો મૂકાશે. જેથી કરીને રાજ્યના નાગરીકોને પ્રાવાસ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને લોકો સમયસર પોતાના માદરે વતન પહોંચી શકે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું કે, “એક્સટ્રા બસોના સંચાલન થકી રાજ્યના છેવાડાના જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં પોતાના માદરે વતન જવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથેની સરકારી બસો ઉપલબ્ધ કરાવી તહેવારો દરમિયાન મોંઘી ખાનગી મુસાફરીના મારથી રાજ્ય સરકાર સંપૂર્ણ રાહત અપાવશે”.

તમને જણાવી દઇએ કે, ગત વર્ષે હોળી-ધૂળેટી દરમિયાન 1200 બસો દ્વારા 4516 ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. ત્યાં જ આ વર્ષે 1500 જેટલી બસો વડે 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાની બસો દોડાવાશે. ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપોનું આયોજન કરાયુ છે.

ઉલ્લેખનિય છે કે, 10 દિવસ બાદથી જ હોળી અને ધૂળેટીના તહેવારોને લઇ રાજ્ય સરકારે પ્રવાસી મજૂરો અને રાજ્યના છેવાડાના જિલ્લાના નાગરિકોને તહેવારો દરમિયાન ખાનગી બસોના મોટા ભાડા ભરવા ન પડે તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.