September 17, 2024

પૂજા ખેડકરને કાયમી નિમણૂક પહેલા જ કાઢી મૂકી, UPSCએ લીધો કડક નિર્ણય

Pooja Khedkar Fake Documents: ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે. હાલમાં તે પ્રોબેશન પર હતી, પરંતુ તેને કાયમી નિમણૂક પહેલા જ કાઢી મૂકવામાં આવી હતી. વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર પર નકલી દસ્તાવેજો દ્વારા નોકરી મેળવવાનો આરોપ હતો. પૂજા ખેડકરે 2022ની UPSC પરીક્ષા પાસ કરી હતી અને હાલમાં તે મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS તરીકે પોસ્ટેડ હતી. નોંધનીય છે કે, પોતાની પહેલી પોસ્ટિંગમાં જ તેણે વિચિત્ર ડિમાન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે વિવાદ વધતાં તેની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. એટલું જ નહીં, બાદમાં સામે આવ્યું કે તેણે નોન-ક્રિમી લેયર ઓબીસી અનામત મેળવવા માટે ખોટા દસ્તાવેજો આપ્યા હતા.

આ પણ વાંચો: નીતિન ગડકરીને પણ કરવી પડી અપીલ, જીવન વીમા પ્રિમિયમમાંથી GST દૂર કરો

એટલું જ નહીં તેણે તેના માતા-પિતાના નામ પણ બદલી નાખ્યા હતા. આ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ઓબીસીને અનામતનો લાભ મળી શકે અને UPSC પરીક્ષામાં બેસવાની વધારાની તક મળી શકે. જ્યારે આ વાતે જોર પકડ્યું તો UPSCએ તેની સામે FIR પણ નોંધાવી. આ સિવાય પૂજા મનોરમા દિલીપ ખેડકરને પણ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી. આ સિવાય પોતાની ઓળખ છુપાવીને પરીક્ષામાં બેસવાની તક મેળવવા માટે દોષિત ઠરી હતી. પૂજા ખેડકર પાસે નોટિસનો જવાબ આપવા માટે 25મી જુલાઈ સુધીનો સમય હતો, પરંતુ તેણે 4 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. તેણીએ કહ્યું કે આ સમય દરમિયાન હું જરૂરી દસ્તાવેજો એકત્રિત કરીશ.

પૂજાની અપીલ પર UPSCએ તેને 30 જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યા સુધી જવાબ આપવાનો સમય આપ્યો હતો. આ સમય સુધી જવાબ ન મળતાં UPSCએ તેમને સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, હવે તે યુપીએસસીની કોઈપણ પરીક્ષામાં ભાગ લઈ શકશે નહીં.

યુપીએસસીએ પહેલા જ કહ્યું હતું કે, જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે
આ સંદર્ભમાં UPSCએ તેમને પહેલેથી જ કહ્યું હતું કે જો નિર્ધારિત સમયમાં જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે અને પછીથી તેમની કોઈપણ અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. પબ્લિક સર્વિસ કમિશને કહ્યું કે પૂજા ખેડકર CSE-2022ની પરીક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે. પૂજાએ નિયમોની બહાર જઈને ખોટા દસ્તાવેજો દ્વારા વધારાની તક મેળવી. હવે યુપીએસસીએ પૂજા ખેડકરને ભવિષ્યમાં પણ કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે.