May 21, 2024

નળકાંઠાના 39 ગામોને નર્મદાનું પાણી આપવા પાઇપલાઇન યોજનાનું ભૂમિપૂજન

હાર્દિક પટેલ

હાર્દિક પટેલની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું

અમદાવાદઃ વિરમગામ, સાણંદ અને બાવળા તાલુકાના નળકાંઠા વિસ્તારના 39 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવા રૂપિયા 1460 કરોડની પાઇપ લાઈન યોજનાના પ્રથમ તબ્બકે રૂપિયા 402 કરોડની યોજનાનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.

હાર્દિક પટેલે આ પ્રસંગે કહ્યુ હતુ કે, ‘નળકાંઠા વિસ્તારના હજારો ખેડૂતો વતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. આજે નળકાંઠા વિસ્તારના હજારો ખેડૂતો માટે સોનાનો સુરજ ઉગ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત કામ કરે છે તેમાં આ યોજના એક આશીર્વાદ રૂપ બનવાની છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અમારા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેડૂતોને હજુ પણ સપના જેવું લાગે છે કે શું નર્મદાનું પાણી આવશે ત્યારે મારે કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરન્ટી એજ રામ રાજ્યની નિશાની છે. આજે મને કહેતા ગર્વ થાય છે કે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં વિરમગામ વિધાનસભામાં 700 કરોડથી વધુના વિકાસ કામો આપ્યા છે જેમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસથી આ ૪૦૨ કરોડની યોજનાના ભૂમિ પૂજનથી આ વિકાસના કામોનો આંકડો રૂપિયા 1000 કરોડને પાર કરી ગયો છે.’