October 6, 2024

‘ઊંડી, ગંભીર ચિંતાનો વિષય…’, પશ્ચિમ એશિયા સંઘર્ષ પર બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર

S Jaishankar on West Asia Conflicts: વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ ઊંડો અને ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિકીકરણની દુનિયામાં, કોઈપણ જગ્યાએ ઊભો થયેલો સંઘર્ષ દરેક જગ્યાએ સમસ્યાઓ સર્જે છે. જયશંકરે ‘IC સેન્ટર ફોર ગવર્નન્સ’ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું, ‘પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધી રહ્યો છે. પહેલા અમે આતંકવાદી હુમલો જોયો, પછી અમે તેની પ્રતિક્રિયા જોઈ. બાદમાં ગાઝામાં જે થયું તે હવે આપણે લેબનોનમાં પણ જોઈ રહ્યા છીએ. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. હૂતિઓ લાલ સમુદ્રમાં ગોળીબાર કરી રહ્યા છે. આ બધું ખરેખર આપણને પણ અસર કરે છે.

જયશંકરે કહ્યું, ‘સંઘર્ષમાં કોઈપણ તટસ્થ રહેતું નથી. પરંતુ તેના પરિણામો દરેકને ભોગવવા પડે છે.” તેમણે કહ્યું કે શિપિંગ દરોમાં વધારો થયો છે. વીમા દરમાં પણ વધારો થયો છે. વિદેશી વેપારને અસર થઈ રહી છે. તેલના ભાવમાં વધારો થયો છે. તાજેતરમાં ઈરાની મિસાઈલ હુમલા બાદ માર્કેટમાં ઘટાડો આવ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘આ સંઘર્ષોનો ફાયદો ઉઠાવી શકાય છે, હું આ વાતને નકારતો નથી. પરંતુ વૈશ્વિકરણવાળા વિશ્વમાં ગમે ત્યાં સંઘર્ષ વાસ્તવમાં દરેક જગ્યાએ સમસ્યાઓ સર્જે છે. આનાથી પુરવઠાને કોઈને કોઈ રીતે અસર થશે.