October 6, 2024

ગુજરાતની 11 દુર્ગમ-અંતરિયાળ જગ્યાએ બનાવવામાં આવે છે સ્પેશિયલ બુથ

Gujarat Lok sabha election 11 places special election booth

ફાઇલ તસવીર

અમદાવાદઃ મતદારોની દૃષ્ટીએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. આ સાથે વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે.

ગુજરાત રાજ્યમાં પણ એવાં અનેક વિસ્તારો છે, જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના નેતૃત્વમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યભરના 11 સ્થળોએ વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ એવા મતદાન મથકો વિશે, જે ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ના સંકલ્પને સાર્થક કરવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસોની સાક્ષી પૂરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પહેલીવાર પોલો ગેમનું આયોજન; વિન્ટેજ કાર, દેશી-વિદેશી ઘોડા સાથે રોડ-શોનું આયોજન

ગીર સોમનાથઃ બાણેજ
ગીર અભયારણ્યના જંગલોમાં બાણેજ વિસ્તારમાં એકલા વ્યક્તિ મહંત હરિદાસજી ઉદાસીન વસે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે 2007થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની ‘Every Vote Counts’ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

ગીર સોમનાથઃ સાપ નેસ બિલિયા
સાપ નેસ બિલિયા નેસ ગીરના જંગલની અંદરનો એક નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં 2007થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે તંબુ (Tent)માં એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ટેક્સટાઇલના વેપારીએ તૈયાર કર્યો ખાસ ખેસ, અલગ-અલગ સ્લોગન સાથે BJP પ્રચાર

ગીર સોમનાથઃ માધુપુર-જાંબુર
14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં કુલ 3515 મતદારો છે.

અમરેલીઃ શિયાળ બેટ ટાપુ
શિયાળબેટ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે, જે અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કર્મચારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 5048 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને 05 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફાગણી પૂનમને લઈને દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભરૂચઃ આલિયા બેટ
આલીયાબેટ ભાડભૂત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં 136 પુરૂષ અને 118 સ્ત્રી મળી કુલ 254 મતદારો છે. આલીયાબેટ અગાઉ ૧૫૧-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક, ૬૮-કલાદ્રા-૦૨નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણુ દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવતા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે લાંબા અંતર સુધી પ્રવાસ કરવો પડતો હતો. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022થી જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી આલીયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરી આ કન્ટેઈનરમાં તમામ Assured Minimum Facilities (AMF) પૂરી પાડી મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેના પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે રહેઠાણથી નજીકની જગ્યાએ મતદાન કરી શકશે. ગુજરાત કેવી રીતે સુલભ ચૂંટણીના સૂત્રને સુનિશ્ચિત કરી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે.

મહીસાગરઃ રાઠડા બેટ
રાઠડા બેટ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 381 પુરૂષ અને 344 સ્ત્રી મળી લગભગ 725 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે. જ્યાં તમામ ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સર્વસમાવેશી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચોઃ વૈષ્ણોદેવી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત, તંત્રની ઘોર બેદરકારી

નર્મદાઃ ચોપડી
નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાંછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગ પાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડીથી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-૦૨ (પી.એસ નં. ૦૪) બનાવવામાં આવ્યું છે, જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર 134 મતદારો (72 પુરૂષો અને 62 મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે. આ મતદાન મથક સુલભ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના સંનિષ્ઠ પ્રયાસોની સાક્ષી પૂરે છે.

પોરબંદરઃ સાતવિરડા નેસ, ભૂખબરા નેસ, ખારાવિરા નેસ
પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે 84-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એટલે કે 63-સાતવિરડા નેસ (883 મતદારો), 64-ભુખબરા નેસ (634 મતદારો) અને 65-ખારાવીરા નેસ (787 મતદારો); આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો એરિયા હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

આ પણ વાંચોઃ બોપલના TRP મોલમાં ભીષણ આગ, મોટા પ્રમાણમાં નુકસાન

દેવભૂમિ દ્વારકાઃ અજાડ ટાપુ
અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલું છે. આ વિસ્તારના માત્ર 40 જેટલા મતદારો માટે તંબુ (Tent)માં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકાઃ કિલેશ્વર નેસ
કિલેશ્વર નેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે નેસ વિસ્તારમાં બરડા પર્વતના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાં 516 મતદારો નોંધાયેલા છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.

જૂનાગઢઃ કનકાઇ
કનકાઈ મતદાન મથક ઊંડા જંગલ વિસ્તારમાં અને નેસ વિસ્તારમાં સ્થિત છે. આ વિસ્તારમાં કુલ 121 મતદારો નોંધાયેલા છે. સંદેશા વ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.