October 5, 2024

…અને વિધર્મીઓનું ટોળું ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી ગયું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ છે. ત્યારે આજે યાદ કરવો છે એક એવો કલંકિત કિસ્સો જે ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયો છે. ભગવાન જગન્નાથજીના રથને વિધર્મીઓનું ટોળું ખેંચી ગયું અને પોલીસે મહામહેનતે રથ નિજમંદિર પહોંચાડ્યો હતો.

વાત છે વર્ષ 1993ની. એકબાજુ બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી નાંખવામાં આવી હતી તેને કારણે ગુજરાતમાં તંગભર્યું વાતાવરણ હતું. તો બીજી તરફ, 21મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે સુરક્ષાને ધ્યાને રાખી રથયાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. ત્રણેય રથને પહેલીવાર બુલેટપ્રુફ બનાવવામાં આવ્યા હતા.

વહેલી સવારે રથયાત્રા શરૂ થઈ અને દરિયાપુર વિસ્તારમાં પહોંચતા જ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. રથયાત્રા પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિધર્મીઓએ પહેલેથી જ તૈયારી કરી રાખી હોય તેવું લાગતું હતું. સળગતા કાકડા અને મોટા પ્રમાણમાં પેટ્રોલ બોમ્બ પણ રથયાત્રા પર ફેંકવામાં આવ્યા હતા.

તે સમયે રથ શાહપુર પહોંચે તે પહેલાં સાંજના 4-5 વાગ્યાની આસપાસ તોફાનોની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને પોલીસે અખાડાવાળાઓને શાહપુર ન જવા દીધા અને બારોબાર નીજ મંદિરે મોકલી દીધા હતા. પરંતુ જ્યારે રથ શાહપુર પહોંચ્યા ત્યારે વિધર્મીઓએ બહોળા પ્રમાણમાં ખલાસીઓ પર સળગતા કાકડા ફેંક્યા હતા. જેમાં ઘણાં ખલાસીઓ દાઝી ગયા હતા. તેવા સમયે સૌથી આગળ ચાલતો બળભદ્રજીનો રથ અને તેમની પાછળ બહેન સુભદ્રાજીના રથને ફટાફટ ત્યાંથી ખેંચીને બહાર લઈ જવાયો હતો. પરંતુ ભગવાન જગન્નાથજીનો રથ આ કોમી રમખાણોમાં ફસાયો અને વિધર્મીઓનું એક ટોળું રથને શાહપુર ખેંચી ગયું.

આ ઘટનાની જાણ થતાં જ એડિશનલ ડીજીપી વીવી રબારી મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે શાહપુર પહોંચ્યા હતા. ત્યાં વિધર્મીઓના ટોળાને કાબૂમાં લઈને રથ પાછો ખેંચીને શાહપુરમાંથી બહાર લાવ્યા હતા અને ત્યાંથી નિજમંદિરે પહોંચાડ્યો હતો.