September 17, 2024

ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને અપાશે 3 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ

વિક્રમ સરગારા, અંબાજી: ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે, યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહનથાળા પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે. તો, માતાજીના દર્શને આવેલા ભક્તો અચૂકમાં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. ત્યારે, હવે, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂનમના મેળાને લઈને મોટાપાયે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું છે.

અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ, કકરુ બેસન, ખાંડ, શુદ્ધ દેશી ઘીની સાથે ઈલાયચીનો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.

આ વખતે ટ્રસ્ટ દ્વારા 3 લાખ 25 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં 1 લાખ કિલો કકરું બેસન, દોઢ લાખ કિલો ખાંડ, 75 હજાર કિલો શુધ્ધ ઘી, અને 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે. જેમાંથી, યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે.