October 5, 2024

J&K: કુલગામના બે ગામોમાં અથડામણ, 4 આતંકવાદીઓ ઠાર, એક જવાન શહીદ

Jammu Kashmir: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનીગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે આજે થયેલી અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેના એક સાથે બે આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે. મોદરગાવ ગામમાં ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યાં ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.

જણાવી દઈએ કે, સેનાનું પહેલું ઓપરેશન શરૂ થયાના થોડા જ કલાકો બાદ જ ચીનીગામ ગામમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. સેનાને લશ્કર ગ્રૂપ વિશે ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ, સુરક્ષા દળો તે વિસ્તારમાં પહોંચી ગયા અને બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય સેનાને કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ, સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો હતો.