September 8, 2024

નડિયાદમાં બાકીદારોનું 11 કરોડનું લેણું, 4 દિવસમાં 22 લાખની આવક

યોગીન દરજી, ખેડા: નડિયાદ નગરપાલિકામાં બાકીદારોનું લેણું રૂપિયા 11 કરોડ સુધી પહોંચી ગયું છે. નગરજનોનો બાકી ટેક્સ સમયસર નહીં ભરાવાને કારણે આ રકમ વધતી હોય નગરપાલિકા દ્વારા હવે ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પહેલા નોટિસ આપવાની અને ત્યારબાદ મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

નડિયાદ નગરપાલિકા દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા ફક્ત ચાર દિવસમાં રૂપિયા 22 લાખની ઉઘરાણી થઈ ગઈ છે. હજુ પણ ઘણી ખાનગી મિલકતો અને 50 જેટલી સરકારી મિલકતોના ટેક્સ બાકી છે. જે તમામને નોટિસ આપી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાના જણાવ્યું હતું કે જો ભાગીદારો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઝુંબેશને વધુ ફાસ્ટ બનાવવામાં આવશે.