September 8, 2024

ગાંધીનગરમાં IASની પત્નીનો આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગરઃ જિલ્લામાં અવારનવાર આત્મહત્યાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ગાંધીનગરમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આઇએએસ અધિકારીની પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ IAS અધિકારીની પત્નીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સચિવાલયમાં ફરજ બજાવતા IAS રણજીત તેવરનાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેઓ હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. સેક્ટર 21 પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IASની પત્ની હોવાના કારણે મામલતદારની હાજરીમાં પોલીસ તેમનું નિવેદન લેશે.

હાલ IASની પત્ની બેભાન અવસ્થામાં હોવાથી પોલીસ નિવેદન લઈ શકી નથી. તેઓ ભાનમાં આવતાં જ નિવેદન લેવામાં આવશે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલ પોલીસે કયા કારણોસર દવા પીધી તે અંગે જાણકારી મેળવી રહી છે.