September 8, 2024

કાવડિયાઓને ન દેખાય મઝાર કે મસ્જિદ, નેમપ્લેટ બાદ વધુ એક ‘પડદા’ વિવાદ

ઉત્તર પ્રદેશ: કાવડિયાઓ માટે ખાણીપીણીની દુકાનો પર નેમપ્લેટ લગાવવાના વિવાદ વચ્ચે વધુ એક વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં હરિદ્વારમાં કાવડ યાત્રાના રૂટ પર આવેલી કબરો અને મસ્જિદોને ઢાંકી દેવાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર, કબરો અને મસ્જિદોને ઢાંકવા માટે, તેમની સામે સફેદ ચાદર લગાવવામાં આવી હતી જેથી લોકોની નજર તેના પર ન પડે. જો કે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ હવે આ ચાદરો હટાવી દેવામાં આવી છે. જ્વાલાપુર વિસ્તારમાં આવેલી મસ્જિદો અને મંદિરોની સામે વાંસના પાલખ પર ચાદર લગાવી દેવામાં આવી હતી. એક મીડિયા અહેવાલ મુજબ, જ્વાલાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રમેશ તનવારનું કહેવું છે કે પોલીસે ન તો કોઈ પડદો લગાવ્યો કે ન તો હટાવ્યો.

સફેદ ચાદરથી ઢાંકી દેવાયું મસ્જિદ
કાવડિયાઓ હરિદ્વારના રસ્તે પગપાળા જઈ રહ્યા છે. સિંહદ્વારથી રામનગર, આર્યનગર, ઉંચા પુલ થઈને કવાડિયાઓ તેમના ગંતવ્ય તરફ જઈ રહ્યા છે. રામનગર પાસે આવેલા વિસ્તારમાં એક મસ્જિદને ઢાંકી દેવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. શુક્રવારે મસ્જિદને ઢાંકવાને લઈને વિવાદ શરૂ થયો હતો, ત્યારબાદ બપોરે મસ્જિદની બહાર લગાવેલા પડદા હટાવી દેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે આ પડદા લગાવવામાં આવ્યા હતા.

કોણે લગાવી દીધા હતા પડદા, કોઈને નથી ખબર
મસ્જિદ પર પડદા લગાવવા માટે સોશિયલ મીડિયામાં આવ્યો તો પડદા હટાવી દેવામાં આવ્યા. જોકે, કોણે આ પડદા લગાવ્યા હતા તેને લઈને કઈ પણ બોલવા માટે અધિકારીઓ તૈયાર નથી. અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમને આ અંગે કોઈજ પ્રકારની માહિતી નથી કે પડદા કોણે લગાવ્યા હતા અને કોણે હટાવ્યા.

મંત્રી સતપાલે પડદા પર જવાબ આપ્યો
કારગિલ વિજય દિવસના રોજ આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહેલા કેબિનેટ મંત્રી સતપાલ મહારાજને જ્યારે મીડિયા દ્વારા મંદિર પર પડદો લગાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે તેનો હેતુ એ હોય શકે કે કોઈ આક્રોશમાં ન આવે અને કોઈ ઉત્તેજના ન ફેલાય. કાવડ યાત્રા યોગ્ય રીતે ચાલે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જ્યારે પણ ક્યાંક બાંધકામ થાય છે ત્યારે તેને પણ આવરી લેવામાં આવે છે.